અમદાવાદમાંથી વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા, નકલી પાસપોર્ટના આધારે 12 વર્ષથી રહેતા હતા

અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન બાદ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાંથી વધુ 2 બાંગ્લાદેશીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. બંને લોકો નકલી પાસપોર્ટના આધારે અહીં રહેતા હતા. બંને છેલ્લા 12 વર્ષથી નારોલ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. તેમની પાસેથી ભારતીય હોવાના બોગસ પુરાવા પણ મળી આવ્યા છે અને એટીએસે બંન્ને બાંગ્લાદેશીઓને ઝડપી તપાસ હાથ ધરી હતી.
બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ભારતીય પુરાવા એકઠા કરીને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી હતી. મહિલા પોતાનું નામ બદલીને વર્ષ 2014થી ભારતમાં રહેતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે મહિલાના 18 તારીખ સુધીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચ 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટના આધારે તપાસ આદરી હતી. જેમાં અમદાવાદમાં વર્ષ 2016થી રહેતી ઝરણા અખ્તર શેખ ઉર્ફે જોયા નામની બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2014માં મહિલા જોયા બનીને ભારતમાં આવી અને વર્ષ 2016માં મહિલાએ અમદાવાદમાં વસવાટ કર્યો અને પછી વર્ષ 2017માં યુનુસ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને બનાવટી આધાર કાર્ડ અને ઈલેક્શન કાર્ડ બનાવ્યા હતા. જેમાં મહિલાએ ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. મહિલાએ અમદાવાદમાં ભાડા કરાર કરાવીને રહેતી હોવાના આધારે પાસપોર્ટ માટે અરજી કરી હતી. નારોલ પોલીસે તેનો નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. જો કે, આગળ જતાં તેને પાસપોર્ટ મળ્યો હતો. મહિલાએ જુહાપુરાના યુવક સાથે લગ્ન કર્યા હોવાનું અને તેમને સંતાન હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલા બાંગ્લાદેશી હોવાને લઈને જ્યારે પોલીસ તપાસમાં પહોંચી ત્યારે તેના પતિને આ મામલે જાણ થઈ હતી. આ ઉપરાંત મહિલા બનાવટી પાસપોર્ટના આધારે સાઉદી પણ ગઈ હતી અને ત્યાં તેણે 10 મહિના નોકરી પણ કરી હતી. તેમજ તે 3 વખત બાંગ્લાદેશ અને સાઉથ ઈસ્ટ એશિયા ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશથી આવતા લોકોને ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા પઠાણ આશ્રય આપતો હતો અને બાદમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં મદદ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
આપણ વાંચો: રીંછ એકલું ફરવા ચાલ્યું, સક્કરબાગ ઝૂની ઘટનાથી મચી દોડધામ
પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડા દિવસ પહેલા 300 જેટલા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવ્યા હતા.