આપણું ગુજરાત

35 કર્મચારી ને 24 કલાક બાદ સિંહણ પુરાઈ પાંજરે

અમરેલી જિલ્લામાં બગસરાના ગ્રામીણ વિસ્તારમાં સિંહણે બાળકીને ફાડી ખાધાનો બનાવ બન્યો હતો. દરમિયાન વનવિભાગના કર્મચારીઓએ સિમ વિસ્તાર અને શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં સતત દોડધામ કરી બે સિંહણને પકડી પાંજરે પુરી હતી. આ મિશન માટે વનવિભાગના 35 કર્મીઓ કામે લાગ્યા હતા અને 24 કલાકની જહેમત બાદ સિંહણ પાંજરે પુરાઈ હતી.

સૂત્રોના જણાવ્યામુજબ અમરેલી જિલ્લામાં બગસરના હાલરીયા ગામમાં મજૂર પરિવારની પાંચ વર્ષની બાળકી સૂતી હતી, ત્યારે સિંહણ આવી ચડી હતી અને બાળકીને ઉઠાવીને ભાગી ગઈ હતી.


આ ઘટનાની ગંભીરતા સમજી અમરેલી ડીવીઝન ઇન્ચાર્જ આઈએફએસએ તાત્કાલિક વન્ય પ્રાણીને પાંજરે પુરવા સૂચના આપી હતી. જેથી કુંકાવાવ આરએફઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી. 35 જેટલા કર્મચારીઓ, અધિકારીઓ સમગ્ર ઓપરેશનમાં જોડાયા હતા અને 24 કલાક સુધી આ ઓપરેશન ચાલુ રાખી વનવિભાગના કર્મચારીઓએ સિમ વિસ્તાર અને શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં સતત દોડધામ કરી બે સિંહણને પકડી પાંજરે પુરી હતી. વનવિભાગે તકેદારીના ભાગ રૂપે બન્ને સિંહણોને જૂનાગઢ ચક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં એનિમલ ડોક્ટરો તેમનું પરીક્ષણ કરશે અને પછી નક્કી થશે કે સિંહણ માનવ ભક્ષી છે કે નહીં, જો સિંહણ માનવ ભક્ષી હશે તો તેને કેદ રાખવામાં આવશે, તેમજ જો નિર્દોષ સિંહણ હશે તો તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલરીયા ગામે માનવભક્ષી બનેલી સિંહને એક પાંચ વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. વહેલી સવારે બાળકીના માત્ર બે પગ અવશેષો મળ્યા હતા. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા મૃતક બાળકીના પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button