સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના વસાડવા રેલવે ટ્રેક પાસે દીપડાનો મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ધ્રાંગધ્રાના વસાડવા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પાસે એક દીપડો મૃત હાલત(Leopard carcass) માં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા રેલવે વિભાગની ટીમ અને ફોરેસ્ટની ટીમોએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસમાં સવારના સમયે પસાર થતી કોઈ ટ્રેન સાથે દીપડો અથડાતા મોતને ભેટયો હોવાનું બહાર આવ્યુ છે. તેમ છતાં દીપડાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે માટે લઈ જવાયો છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં હિંસક પશુ દીપડો અવારનવાર નજરે પડે છે. ચોટીલા અને થાનમાં છાશવારે દીપડો લોકોને સીમ વિસ્તારમાં દેખાય છે. થોડા દિવસ પહેલા જ થાનના અભેપર ગામની સીમમાં દીપડાએ શ્વાન સહિત ચાર પશુનું મારણ કર્યુ હતુ. ત્યારે જિલ્લામાં ધ્રાંગધ્રાના વસાડવા પાસે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે. મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા રેલવે વિભાગના કીમેન સવારના સમયે ટ્રેક પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને મૃત દીપડો નજરે પડયો હતો. જેના પગલે રેલવે વિભાગને જાણ કરતા વન વિભાગના અધીકારી સહિત નવ વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. અને તપાસ કરતા દીપડાની ઉંમર લગભગ ચાર વર્ષ હોવાની જણાતી હતી. જયારે દીપડાના માથા પર ઈજા હતી તથા ટ્રેક પર લોહીના ડાઘ મળી આવ્યા હતા. આથી સવારે પસાર થતી કોઈ ટ્રેન સાથે દીપડો અથડાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ દીપડાને પોસ્ટમાર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Also Read –