ગુજરાતમાં ગુનેગારોને નો એન્ટ્રી! હર્ષ સંઘવીની ડ્રગ્સ, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને અસામાજિક તત્વો સામે વધુ કડક પગલાં લેવા સૂચના!

ગાંધીનગર: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૫ દિવસમાં PIT NDPSના ૧૭ કેસ
રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર ૧૫ દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ ૧૭ કેસ કરવા બદલ તેમણે ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.
GujCTOC હેઠળ પાંચ મહિનામાં ૭૭ આરોપીઓ સામે કેસ
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ પ્રધાને સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ હજુ કડક કાર્યવાહી કરવા સૂચના
રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૮૨ ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત ૧૮૬૧ સામે કાર્યવાહી, ૬૮૯ રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર ૩૯૦ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ
રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ ૬૪૧ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે રાજ્ય પ્રધાન દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૯૬ આરોપીઓ વિરૂધ્ધ ૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.