આપણું ગુજરાત

કચ્છમાં સ્વાઇન ફલુની દસ્તક: ભુજ અને ધાણેટીમાં એક-એક દર્દીઓ સંક્રમિત


સીમાવર્તી જિલ્લા કચ્છમાં એક તરફ ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આજથી છ વર્ષ અગાઉ કાળો કેર વર્તાવનારા સ્વાઈન ફ્લુનો પણ પગપેસારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે.
જાણવા મળતી હકીકતો અનુસાર, ભુજ શહેર અને તાલુકામાં બે લોકોને સ્વાઈનફ્લૂનું સંક્રમણ થયું હોવાનું જણાયા બાદ દર્દીઓના સંપર્કમાં આવેલા ૨૪ અન્ય લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
તબીબી પરીક્ષણમાં સ્વાઇનફ્લૂના બે કેસ બહાર આવતા આરોગ્ય તંત્રએ ગંભીર બની તાત્કાલિક રોગ અટકાયતી પગલા ભરવાનું હાલ શરૂ કરી દીધું છે અને વ્યાપકપણે સર્વેની કામગીરી આરંભી દેવામાં આવી છે.
આ અંગે ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.કેશવકુમારે જણાવ્યું હતું કે, ધાણેટી ખાતેના વાડી વિસ્તારમાં રહેતા પુરુષને સ્વાઈન ફ્લૂ થયો હોવાનું નિદાન થયા બાદ તાત્કાલિક તેમના સંપર્કમાં આવેલા ૧૮ લોકોને આઇસોલેશનમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે.
જયારે ભુજ શહેરના ભીડભાડ વાળા છઠ્ઠીબારી વિસ્તારમાં રહેતી મહિલાને સ્વાઈન ફલૂ હોવાનું બહાર આવતાં તેણીના ઘરમાં રહેતા છ સભ્યોને પણ સારવાર અપાઈ છે.
હાલ બંને દર્દીની તબિયત સ્થિર છે સંપર્કમાં આવેલા લોકોના પરીક્ષણમાં તેમને સ્વાઈન ફ્લુનું સંક્રમણ લાગ્યું ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભુજના જાણીતા તબીબ ડો. દિનેશ દવેએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, શરદી-ખાંસી-તાવ તથા શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના દવાખાનામાં જઈ સારવાર મેળવવી અને તબીબી સલાહ લેવી.
આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી અને રણોત્સવ શરૂ થશે. મોટા પ્રમાણમાં ભીડ એકઠી થતી હોય ત્યારે સ્વાઈન ફ્લુનો ફેલાવો ઝડપભેર પ્રસરવાનો ખતરો ઉભો થાય છે. આ ચેપી રોગથી બચવા માસ્ક પહેરવા અને આઇસોલેશનમાં રહેવાની સલાહ તેમણે આપી હતી.
વર્ષ ૨૦૦૯થી વિશ્વભરમાં સ્વાઈન ફ્લુનો ફેલાવો શરૂ થયો છે અને આ રોગમાં પ્રણાલીગત એન્ટિબાયોટિક અસર કરતું ન હોવાનું ડો.દવેએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬થી ૨૦૧૯ દરમ્યાન સ્વાઈન ફ્લૂએ કચ્છમાં કહેર વર્તાવ્યો હતો. કોરોના જેમ જ ઝડપથી પ્રસરતા આ સંક્રમણથી સેંકડો લોકોના મોત નીપજ્યાં હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning