કચ્છ

કચ્છમાં અકસ્માતની બે ઘટનામાં ચાર યુવાનના જીવ ગયા, એક ઈજાગ્રસ્તકચ્છમાં અકસ્માતની બે ઘટનામાં ચાર યુવાનના જીવ ગયા, એક ઈજાગ્રસ્ત

ભુજ: કચ્છમાં બનેલી બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં ચાર યુવાનીયાઓએ જીવ ખોયો છે.
પૂર્વ કચ્છના આદિપુરના અંતરજાળ ખાતે આવેલા પ્રસિદ્ધ પાતાળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં અકસ્માતે ડૂબી જવાથી સાળા બનેવીના મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

ગત શનિવારના મધ્યાહ્ને બનેલી કરુણાંતિકા અંગે જાણવા મળેલી વિગતો મુજબ, હતભાગી ઈશ્વર મહાદેવ મોદી (ઉ.વ. ૨૮, રહે.વાઘાસણ, થરાદ, બનાસકાંઠા) અને તેનો સાળો સંજય જીવા મોદી (ઉ.વ. ૧૯, રહે. આશાપુરા સોસાયટી, કિડાણા, ગાંધીધામ) તાજેતરમાં ખરીદેલી તેમની બે મોટરસાઈકલને ધોવા માટે પાતાળિયા હનુમાન મંદિર નજીકના તળાવના કિનારે આવ્યાં હતાં.

તેઓ રાત સુધી પરત ના ફરતાં ચિંતાતુર પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં તળાવની પાળે બંનેની મોટર સાયકલ અને ચંપલો મળી આવતાં અમંગળ થયું હોવાની શંકા ઘેરી બની હતી.
રાત્રિનું અંધારુ થઈ ગયું હોવા છતાં સ્થાનિક લોકો અને તરવૈયાઓએ બંનેની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી.મધરાત્રે ત્રણ વાગ્યે એકનો મૃતદેહ હાથ લાગ્યો હતો અને અન્યનો મૃતદેહ બીજા દિવસે બપોરે મળી આવ્યો હતો.

કરુણ બનાવ અંગે આદિપુર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ પાડી પી.આઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે.
તો બીજી બાજુ કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સામખિયાળી ખાતેના સૂરજબારી પુલ પર પૂરપાટ જઈ રહેલી ટ્રક અને ટ્રિપલ સવારી મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં જ્યારે એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો ‘રાહુલ મને ગમતો નથી, જીવતો નહીં મુકું’: સાવકા પિતાએ આંગળિયાત પુત્રની કરી હત્યા, પોલીસે ઝડપ્યો

ગત શુક્રવારે મોડી રાતના અરસામાં સર્જાયેલા આ પ્રાણઘાતક અકસ્માત અંગે સામખિયાળીના પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉ તાલુકાના જંગી ગામનો દિનેશ અમરશી પરમાર (કોલી), તેનો પારિવારિક ભાઈ દશરથ ડાયા કોલી અને પંજાબના પઠાનકોટનો વતની રવિસિંઘ શિકારપુર ગામ નજીક આવેલી હાઇવે હોટેલ પર ચા-નાસ્તો કરીને મોટરસાઇકલ પર સવાર થઈને માળિયા પાસે આવેલી ઈન્ડિયા સોલ્ટ કંપનીમાં પરત જઈ રહ્યા હતા.

આ ક્ષણે સૂરજબારી પુલ પર જીજે-૩૯ ટી-૮૮૭૧ નંબરના ટ્રકે મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતાં ત્રણે યુવાનો દડાની જેમ ફંગોળાઈને નીચે પટકાયાં હતાં. માથામાં પહોંચેલી ગંભીર ઈજાથી દશરથનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મોટરસાઇકલ ચાલક એવા રવિસિંઘે ખાનગી હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો.

સામખિયાળી પોલીસે જીવલેણ અકસ્માતના બનાવ અંગે ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button