કચ્છના બહુચર્ચિત નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર
ભાજપના તત્કાલીન હાઈપ્રોફાઈલ નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં ભુજ સેસન્સ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

ભુજઃ દેશભરમાં બહુચર્ચિત બની ગયેલા ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓને સાંકળતા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે કથિત રીતે આચરવામાં આવેલા સામૂહીક દુષ્કર્મકાંડના હાઈપ્રોફાઈલ કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા તમામ આઠ આરોપીઓ નિદોર્ષ જાહેર કર્યા હતા.
દુષ્કર્મકાંડ બહાર આવ્યા બાદ ઉભા થયેલા હલ્લાબોલ વચ્ચે ગુજરાત સરકારે તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. તેમજ ઝડપી ટ્રાયલ ચલાવવા માટે એક ખાસ સરકારી વકીલની પણ આ કેસમાં નિમણૂક કરી હતી.
શું છે સમગ્ર મામલો
૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ નલિયા દુષ્કર્મ કાંડની ફરિયાદ પીડિતા દ્વારા નોંધાયા બાદ રાજકીય હોબાળા વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મ કાંડના કુલ ૮ વગદાર તહોમતદારને પોલીસે ફરીયાદ બાદ તાત્કાલિક ઝડપી લીધા હતા અને તેમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા તેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો : કચ્છમાં અક્સમાતમાં દસ મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ પણ માતા-પિતા…
કચ્છમાં બનેલી આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અન્ય રાજ્યોમાં પણ ભાજપની છબી ખરડાઈ હતી. આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી કોર્ટમાંથી આરોપીને જામીન મળતા ન હતા. પરંતુ જે-તે સમયે પીડિતાએ આપેલી જુબાની અને કેસના કેટલાક તથ્યોને ધ્યાને રાખી એક પછી એક તમામ આઠ આરોપીઓની આખરે કોર્ટે મુક્તિ કરી હતી.