કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૦૫ ટકા જયારે વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૦૫ ટકા પરિણામ જાહેર…

ભુજ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાયેલી ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે સોમવારે દુર્ગાષ્ટમીના સપરમા દિવસે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારની દ્રષ્ટિએ દેશનો બીજા નંબરનો સૌથી મોટા કચ્છ જિલ્લાનો ક્રમ ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ ૯૫.૦૫ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૩.૦૫ ટકા સાથે ગત વર્ષની સરખામણીએ ઊંચું આવ્યું છે. આ પરીક્ષામાં કુલ ૧૩,૪૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વોટ્સએપ દ્વારા પોતાનું પરિણામ મેળવી, પોતાના જીવનકાળમાં છેલ્લીવાર માધ્યમિક શાળાએ પરિણામની નકલ લેવા પોતાના વાલીઓ સાથે પહોંચેલા પાસ થયેલા છાત્રોએ ગુરુઓના આશીર્વાદ લીધા હતા. સામાન્ય પ્રવાહમાં આ સત્રમાં ૧૦૨૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૫૦ એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. એ-૨ ૧૩૪૫, બી-૧ ૨૮૧૧, બી-૨માં ૨૪૨૪ છાત્રો તેજસ્વી ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા છે. ભુજનું કેરા કેન્દ્ર પ્રથમ વખત બોર્ડમાં સમાવેશ થયું અને જિલ્લામાં પ્રથમ ક્રમે ઉચ્ચ પરિણામ મેળવવા સફળ રહ્યું છે.
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ કચ્છનું આ વર્ષનું પરિણામ ૮૩.૦૫ ટકા સાથે રાજ્યના ૮૩.૦૨૩ ટકાની સમકક્ષ રહ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં ૧૨૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં માત્ર ૧૭ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે એ-૨માં ૯૫, બી-૧ ૧૮૯ અને બી-૨માં ૨૧૩ છાત્રો ઉત્તીર્ણ થયા છે. નોંધનીય છે કે,વિજ્ઞાન પ્રવાહમાં માંડવીનું કેન્દ્ર જિલ્લામાં અગ્રક્રમે રહ્યું છે.
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ભુજની એકજ પરિવારની ત્રણ પિતરાઈ બહેનો એ-૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે. જેમાં રિચિ દોશી ૯૪.૪૩ ટકા (ચાણક્ય એકેડેમી), યાચી મહેતા ૯૨.૮૫ ટકા (સેન્ટ ઝેવિયર્સ), રાશિ જીગર મહેતા ૯૨.૭૧ ટકા (સેન્ટ ઝેવિયર્સ)નો સમાવેશ થાય છે. સામાન્ય પ્રવાહમાં ૯૪.૪૩ ટકા માર્ક મેળવનારી રિચી દોશીએ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાના સપના તરફ એક ડગલું આગળ વધી હોવાનું હર્ષભેર જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રણપ્રદેશ કચ્છનું ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૨ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૪.૨૩ ટકા પરિણામ જાહેર થયું હતું.
આપણ વાંચો : ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર