આજે વિશ્વ ઊંટ દિવસઃ કચ્છમાં માલધારીઓ આ રીતે કરશે ઉજવણી
રણના વાહન કહેવાતા ઊંટની રખેવાળી થાય અને તેનું મહત્વ સમજાય તે માટે 22 જૂનના રોજ વિશ્વ ઊંટ દિવસ ઉજવવામાં આવે છે.

ભુજઃ મેઘતૃષ્ણાનાં મુલક સમા કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થવાની આશા બળવત્તર બની છે તેવામાં આ રણપ્રદેશના ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ૨૩મી જૂનના વિશ્વ ઊંટ દિવસની ખાસ ઉજવણી ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામની મુંદરા પટ્ટીમાં આવેલા મોટા બંદરા નજીકના ભેડિયા ડુંગર પર બિરાજતા મોમાય માતાજી જેને લાડમાં માલધારીઓ ભેડમાતાજી તરીકે ઓળખે છે તેમના સાનિધ્યમાં ઉજવવામાં આવશે.
આ ઉજવણીમાં રાજ્યની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના ઊંટ પાલકો, પશુપાલન વિભાગ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, સરકારી વિભાગના અધિકારીઓ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાશે. આ સંગઠનની ભેડ માતાના સાનિધ્યમાં યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં ગત નાણાકીય વર્ષે થયેલા વિવિધ કાર્યોની સમીક્ષા, ભાવિ યોજનાઓ અને ઊંટ ઉછેરકોના પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરાશે એમ આ સંગઠનના ઇન્ચાર્જ તેમજ સહજીવન સંસ્થાના કેમલ પ્રોગ્રામ કોર્ડીનેટર મહેશ ગરવાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૧માં ટ્રસ્ટ એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ થયેલાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં કચ્છના આઠ તાલુકાના ૩૨૪ જેટલા પરિવારો જોડાયેલા છે. આ સંગઠન દ્વારા ઊંટપાલકોની આજીવિકા, ઊંટોના ચરિયાણ અને આરોગ્ય માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવે છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી, વર્ષ ૨૦૧૫માં ભારતની ઊંટોની નવમી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાવવામાં આવી હતી. તેની સાથેસાથે ઊંટડીનાં દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી, ઊંટની બે નસલ- કચ્છી તેમજ પાણીમાં પણ જહાજની જેમ ચાલી શકતા ખારાઈ ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા, ઊંટપાલકોને સંગઠિત કરવા, તેમના ચરિયાણના હકો, ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પનાં આયોજન કરવા વગેરે જેવી મુખ્ય કામગીરી કરવામાં આવે છે.
દરમ્યાન, દર વર્ષે ભાદરવા મહિનાની ચૌદશ અને અમાસ એમ બે દિવસ દરમ્યાન આ ભેડ માતાજીના સ્થાનકે માત્ર ઊંટોને જ સમર્પિત ખાસ પ્રકારનો ભાતીગળ મેળો યોજાય છે. આ મૂંગા પશુઓ સાથેની આત્મિયતાના પ્રેરક સમા મેળાની વિશિષ્ટતા એ છે કે, આખું વર્ષ વફાદારી પૂર્વક પોતાના માલિક સાથે રહેતા ઊંટ-ઊંટડીને પશુપાલકો ખાસ કરીને રબારીઓ પોતાના ઊંટ-ઊંટડીને, ભેડ માતાજી સમક્ષ શીશ નમાવવા માતાજીના સ્થાનકે લઇ આવે છે.
આ પણ વાંચો - ગુજરાતના 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ વિગત…
ઊંટને મંદિરમાં બિરાજમાન મોમાય માતાજીની મૂર્તિ સામે લઇ આવવામાં આવે છે, જયાં ખાસ બનાવાયેલા પ્લેટફોર્મ પર ઊંટ પોતાનું શીશ નમાવે છે. આ ઊંટોને કુમકુમ ચોખાના તિલક પણ કરાય છે અને તેમને નાળિયેરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.