કચ્છમાં ભૂર્ગભીય હલચલ યથાવત: ખાવડા નજીક ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો...
કચ્છટોપ ન્યૂઝ

કચ્છમાં ભૂર્ગભીય હલચલ યથાવત: ખાવડા નજીક ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો…

ભુજઃ ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા કચ્છમાં ચિંતાજનક સ્તરે ભૂગર્ભીય સળવળાટ સતત વધી રહ્યો છે. આજે સવારના ૬ અને ૩૩ કલાકે ૨.૬ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ એકવાર ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે.

આ ‘માઈક્રો ટ્રેમર’ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, સીમાવર્તી ખવડાથી ૩૨ કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તર-દક્ષિણ દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતો અને જમીનમાં માત્ર ૯ કિલોમીટરની ઉંડાઇએથી આ આંચકો રિક્ટર સ્કેલ પર અંકિત થયો હતો. આંચકાની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના સીમાવર્તી વિસ્તારમાં મહદંશે અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખાસ કરીને કર્કવૃત જ્યાંથી પસાર થાય છે એવા કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. રાપર, ભચાઉ અને પુરાતન નગરી ધોળાવીરા સહિતના વિસ્તારોને સમાવતી વાગડ ફોલ્ટલાઇન વધુ પડતી સક્રિય બની છે અને જાન્યુઆરીથી લઇ, ઓગસ્ટ સુધીના સમયગાળામાં ભૂકંપના નાના-મોટા સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે.

સૌરાષ્ટ્રના અમરેલી, તલાલા, જામનગર અને ઉના, તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર વિસ્તારમાં પણ ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકાઓ સમયાંતરે આવી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બની ચુક્યા છે.

આ પણ વાંચો…રાપરમાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો; ગામવાસીઓએ આ રીતે જીવ બચાવ્યો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button