ભચાઉમાં જંગી સમુદ્રી કાદવમાં ચાર ઊંટડીઓ ફસાઈઃ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાશે…

ભુજઃ અફાટ સમુદ્રમાં લાંબા અંતર સુધી તરી શકવાની ક્ષમતા ધરાવતી વિશ્વની એકમાત્ર ઊંટ જાતિ તરીકે પ્રખ્યાત ખારાઈ ઊંટો કથળતી જતી સમુદ્રી ઇકોસિસ્ટમને કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભચાઉ તાલુકાના જંગી વિસ્તાર નજીક ગત ૨૩મી જૂનથી કાદવમાં ચાર ખારાઈ ઊંટો, જેમાં બે સ્તનપાન કરાવતી અને બે ગર્ભવતી ઊંટડીઓ ફસાઈ ગઈ હોવાના ચિંતાજનક અહેવાલ પ્રકાશમાં આવ્યા છે.
કચ્છ પશુપાલન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર એન ટી નાથાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ઊંટ પાલકો દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવ્યા બાદ રેસ્ક્યુ ટુકડીએ જ્યાં આ ઊંટડીઓ ફસાઈ છે એ દુર્ગમ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાદવની માત્રા વધુ હોવાથી ઊંટડીઓ સુધી પહોંચી શકાયું નથી. ડ્રોન વડે તેમને ખોરાક આપવાનો પ્રયાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમ્યાન, સહજીવન અને કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન દ્વારા ખારાઈ ઊંટો માટે તરવા અને મેન્ગ્રોવ્સ સુધી પહોંચવા માટે ૪૧ ખાડીઓ ઓળખવામાં આવી હતી. કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખા રબારીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ સુધી કચ્છના આ પ્રદેશમાં ખરાઈ ઊંટના ખોરાકના મુખ્ય સ્ત્રોત એવા મેન્ગ્રુવનો વિસ્તાર ૪,૦૮૪ થી ઘટીને ૧,૩૧૨ હેક્ટર થયો હતો, જ્યારે મીઠાના અખાડા ૧૩,૬૮૧ થી વધીને ૧૭,૯૧૮ હેક્ટર થયા હતા. ૨૦૧૯માં ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે લગભગ ૪,૨૬૬ ખારાઈ ઊંટ નોંધાયા હતા. જોકે, સહજીવનની સ્વતંત્ર ગણતરી પ્રમાણે ૨૦૧૯માં ૧,૯૫૨ થી ૨૦૨૪ માં ફક્ત ૧,૦૯૬ ખારાઈ ઊંટ બચ્યાં છે. સરકારે રક્ષણનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી મેન્ગ્રુવ્સના જંગલોના રક્ષણ માટે કોઈ કામગીરી થઈ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.