કચ્છમાં વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોતઃ પવનચક્કીનો ભાગ પડી જતા અન્ય ચાર ઘવાયા

ભુજઃ મૃત્યુ ક્યારે કઈ રીતે આવે તે કોઈ જાણતું નથી, આ વાત કચ્ચમાં બનેલી એક ઘટનાએ ફરી સાબિત કરી છે. કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળીના સૂરજબારીપુલ પાસે ભારે માલવાહક વાહનમાંથી પવનચક્કીનું તોતિંગ પાંખડું નજીક જઈ રહેલી કાર પર ખાબકતાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં પારૂલબા શકિતસિંહ જાડેજા(ઉ.વ.૪૦) તત્કાળ મુત્યુ થયુ હતું.
આ ગોઝારી ઘટના શનિવારના સાંજે પાંચ વાગ્યાના અરસામાં બની હતી જેમાં માંડવીનો પરિવાર કારમાં અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. તેઓ સુરજબારી પૂલ પાસે પહોંચ્યા ત્યારે બાજુમાંથી પસાર થઇ રહેલાં ટ્રેઇલરની પાછળ બાંધવામાં આવેલો પવનચક્કીનો તોતીંગ ભાગ ક્રેટા કાર પર પડ્યો હતો. વજનથી દબાઈ ગયેલી કારમાં બેઠેલા પાંચ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા. સ્થાનિક લોકો અને વાહન ચાલકો ધ્વારા ઈજાગ્રસ્તોને કચ્ચરધાણ થઇ ગયેલી કારમાંથી ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા અને સૂરજબારી ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ મારફતે સામખિયાળીની ખાનગી હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. આ બનાવમાં માંડવીના પારૂલબા શકિતસિંહ જાડેજા(ઉ.વ.૪૦)નું મોત થયું હતું જયારે ઈન્દ્રસિંહ રૂપસિંહ જાડેજા(ઉ.વ.૧૭), દિવ્યાબા શકિતસિંહ જાડેજા(ઉ.વ.૨૨),સહદેવસિંહ શકિતસિંહ જાડેજા(ઉ.વ.૨૩) તથા અમદાવાદના રૂદ્રદતસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણા(ઉ.વ.૨૩)ને ઈજાઓ પહોંચી હોવાનુ પોલીસે જણાવ્યુ હતું.
કાર પર ખાબકેલા પવનચક્કીના પુર્જાને હટાવવા માટે મોરબીથી ખાસ ક્રેન મંગવવામાં આવી હતી. ટ્રાફિકથી સતત ધધમતા આ ધોરીમાર્ગ પર અંદાજીત ૧૦ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.