કોર્ટના આદેશ છતાં હાજર ન થનારા કચ્છના માજી પોલીસ અધિક્ષક કુલદીપ શર્મા સામે વોરંટ જારી કરાયું | મુંબઈ સમાચાર
ભુજ

કોર્ટના આદેશ છતાં હાજર ન થનારા કચ્છના માજી પોલીસ અધિક્ષક કુલદીપ શર્મા સામે વોરંટ જારી કરાયું

ભુજઃ વર્ષ ૧૯૮૪ના રોજ કોંગ્રેસી ધારાસભ્ય સાથેના પ્રતિનિધિ મંડળમાં તત્કાલીન પોલીસ વડા કુલદીપ નિરંકરનાથ શર્મા સમક્ષ રજૂઆત કરવા આવેલા ઈભલા શેઠ નામના વ્યક્તિને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદે ગોંધી રાખીને ઢોર માર મારવાના ચકચારી બનેલા ૪૧ વર્ષ પુરાણા કેસમાં વિવિધ જમીન કૌભાંડોને લઇ કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રદીપ શર્માના ભાઈ એવા નિવૃત્ત આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા અને તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર ગિરીશ એચ. વસાવડાને કરવામાં આવેલી કેદ અને દંડની સજાના મામલે નામદાર કોર્ટના આદેશ છતાં નિયત સમયે હાજર ન થવા બદલ જિલ્લાના માજી પોલીસ અધીક્ષક કુલદીપ શર્મા સામે જિલ્લા અદાલતે પકડ વોરંટ કાઢયું છે. આ ચકચારી પ્રકરણમાં શર્માને સજા ફટકારવામાં આવી હતી, જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જે રદ થઇ હતી. બાદમાં સેશન્સ કોર્ટે હાજર થવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો હતો, જે પૂર્ણ થઈ જવા છતાં હાજર ત થતાં પકડ વોરંટ જારી કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કેસની ટૂંકી વિગતો મુજબ, નલિયામાં નોંધાયેલી એક ફોજદારી ફરિયાદ સંદર્ભે જેમને આરોપી દર્શાવાયાં હતા તેમની સામેના આરોપમાં તથ્ય ના હોવાનું અને પોલીસ તેમની બિનજરૂરી હેરાનગતિ ના કરે તે સંદર્ભે કોંગ્રેસના અબડાસાના તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોશી, અબડાસાના રાજકીય અને મુસ્લિમ અગ્રણી હાજી ઈબ્રાહીમ મંધરા (ઈભલા શેઠ) માંડવીના તત્કાલીન ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોવિંદજી જોશી સહિત આઠ જણનું પ્રતિનિધિ મંડળ ૦૬-૦૫-૧૯૮૪ના રોજ પોલીસવડા કુલદીપ શર્માને કચેરીમાં રજુઆત માટે મળવા ગયા હતા, ત્યારે કથિત રીતે શર્માએ ઈભલા શેઠને દાણચોર કહીને અપશબ્દો કહેવા સાથે બંધક બનાવીને ઢોરમાર માર્યો એ બાબતે વર્ષ ૧૯૮૪માં ફરિયાદ નોંધાયા બાદ સમયાંતરે સુનાવણી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો: કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માની સજા સામેની અપીલ નામંજૂર

ફરિયાદી શંકરલાલ અને ઈભલા શેઠ વિરુધ્ધ દાણચોરી અને આર્મ્સ એક્ટ, કોફેપોસા એક્ટ, પાકિસ્તાનના લોકોને આશરો આપવાના વિવિધ કેસ નોંધાયેલાં છે, પોલીસ ફોર્સને દબાણમાં લાવી તેમનું મનોબળ તોડવા ખોટી ફરિયાદ કરી છે તે સહિતના વિવિધ મુદ્દે સેશન્સ કૉર્ટથી લઈ હાઈકૉર્ટ અને છેક સુપ્રીમ કૉર્ટ સુધી લાંબો કાયદાકીય જંગ છેડાયો હતો. ચાર દાયકાની કાયદાકીય લડત દરમિયાન કોંગ્રેસના સક્રિય હોદ્દેદાર અને ફિશરીઝ નિગમમાં ડાયરેક્ટર એવા મર્હુમ ઈભલા શેઠનો ઈન્તેકાલ થઈ ગયો હતો. બે આરોપી પોલીસ અધિકારી વૈષ્ણવ અને ચૌહાણના પણ નિધન થઈ ગયાં હતાં.

આ દરમ્યાન ગત ફેબ્રુઆરી ૨૦૨૫માં ભુજની સેશન્સ કોર્ટે શર્મા અને વસાવડાને દોષિત જાહેર કરી ત્રણ-ત્રણ માસની કેદ અને એક-એક હજાર રૂપિયાના દંડની સજા જાહેર કરી જેની સામે અપીલ દાખલ કરવામાં આવી હતી જેને અદાલતે નામંજૂર કરી હતી, તો પ્રોબેશન માટે કરાયેલી માગણી પણ ઠુકરાવી દેવાઈ હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button