ભુજ

કચ્છમાં કિશોરીઓ સાથેની જાતીય સતામણીના ત્રણ બનાવો

ભુજઃ તાજેતરમાં અમેરિકાએ ભારતમાં મહિલાઓએ એકલા યાત્રા ન કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો ત્યારે દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, પરંતુ દેશભરમાં બનતી ઘટનાઓ આપણને પણ એ વિચારતા કરી મૂકે છે ક શું ખરેખર આપણો દેશ મહિલાઓ માટે સુરક્ષિત છે. એક તરફ કોલકાત્તામાં યુનિવિર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે દુષ્કૃત્ય થયાના અહેવાલો વિચલિત કરે છે ત્યારે સીમાવર્તી કચ્છ જિલ્લામાં સામે આવેલા ત્રણ શરમજનક બનાવોથી ભારે ચકચાર પ્રસરી છે.

અંજારમાં કિશોરીને બ્લેકમેલ કરી
પૂર્વ કચ્છના અંજાર શહેરમાં એક કિશોરીને શારીરિક અડપલાં અને બ્લેકમેઇલ કરીને બળજબરીપૂર્વક રોકડ રૂા. ચાર લાખ તથા રૂા. ૩,૭૮,૦૦૦ના દાગીના કઢાવી લેનારા એક શખ્સ તથા મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના વિજયનગર તથા ભુજ તાલુકાના કાળી તળાવડીમાં ગત તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૫થી ૨૧-૬-2025 દરમ્યાન આ બનાવ બન્યો હતો. અંજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇરફાન વલુ શેખ નામના શખ્સે એક કિશોરીના ભોળપણનો લાભ લઇ તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં અને બાદમાં આ કિશોરીના ઉતારેલા વિડીયો-ફોટો વડે તેને બ્લેકમેઇલ કરીને કિશોરી પાસેથી બળજબરીપૂર્વક રોકડ રૂા. ચાર લાખ તથા રૂા. ૩,૭૮,૦૦૦ના સોનાં-ચાંદીના દાગીના કઢાવી લીધા હતા, તેમજ હસીના નામની મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં કિશોરીને પ્રેગનન્ટ કરી
ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બે કિશોરોએ એક કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી, તેણીને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. ખારીરોહર નજીક શાંતિલાલ ગોદામ પાસે ચાર મહિના અગાઉ રાત્રિના ભાગે આ ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો જેમાં બે કિશોર વયના છોકરાઓએ ચાર મહિના અગાઉ ભોગ બનનાર કિશોરી ઉપર વારાફરતી કરીને બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલી આ કિશોરીએ મૌન ધારણ કરી લીધું હતું, જોકે તેને ચાર માસનો ગર્ભ રહી જતાં આ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.

કિશોર-કિશોરીનું અપહરણ કર્યુ
દરમ્યાન, આદિપુરના શિણાય ગામ તરફ જતા માર્ગ ઉપર ઓટલા પર બેઠેલા કિશોર-કિશોરીને પોલીસ મથકે લઇ જવાનો ડર બતાવી, બંનેનું અપહરણ કરી જાતીય સતામણી કરનારા બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આદિપુર નજીક શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા માર્ગ ઉપર ગત ૨૬મી જુનની સમી સાંજે આ જઘન્ય બનાવ બન્યો હતો જેમાં સુમસામ રસ્તા પર કિશોરી અને કિશોર ઓટલા પર બેઠા હતા, ત્યારે અચાનક નંબર પ્લેટ વિહોણા બે મોટરસાઇકલો પર બે શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ બંનેને નજીકના પોલીસ મથકે લઇ જવાના નામે વાહનોમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કર્યું હતું.

બંને પાસેથી તેમના મોબાઈલ ફોન લઇ લીધા હતા અને કિશોરીને સુમસામ જગ્યાએ લઇ જઇ, તેની સાથે જાતીય સંબંધ બાંધવાની કોશિશ કરવામાં આવી હતી. કિશોરીએ નરાધમનો પ્રતિકાર કરતાં આ શખ્સો સંબંધ બાંધવા ન દે તો અહીં જ મારીને દાટી દેવાની તથા બીજા ભાઇબંધોને બોલાવીને દિલ્હીના નિર્ભયાકાંડ જેવો સામૂહિક બળાત્કાર ગુજારવાની ધમકી આપી, જાતીય સતામણી કરી હતી. ત્યારબાદ તેને અંજાર પાસેના પેટ્રોલ પંપ પાસે ઉતારીને નાસી ગયો હતો, જ્યારે બીજો આરોપી ભોગ બનનાર કિશોરને પોતાની સાથે બેસાડીને શનિદેવ મંદિર બાજુ લઇ જઇ રહ્યો હતો, ત્યારે કિશોરે હિમંત બતાવીને આ શખ્સનું વાહન પાડી દઇ તેની સાથે ઝપાઝપી કરતાં આ આરોપી કાળા રંગનું સુઝુકી કંપનીનું જીક્ષર મોટરસાઇકલ ત્યાંજ મૂકીને નાસી ગયો હતો.

ભોગ બનનાર કિશોરીએ પરિવારજનોને આપવીતી વર્ણવતાં તેઓએ આરોપીઓ વિરુદ્ધ આદિપુર પોલીસે વિવિધ કલમો તળે ગુનો દર્જ કરીને તેમને પકડી પાડવા કમર કસી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિણાય તળાવની આસપાસ તથા શનિદેવ મંદિરથી શિણાય બાજુ જતા માર્ગ ઉપર અગાઉ પણ આવા બનાવો બની ચૂકયા છે, ત્યારે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોએ માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button