ભુજ

ઓલિવ રિડલે પ્રજાતિના કાચબાના ૧૩ બચ્ચાંને વન વિભાગે સુરક્ષિત રીતે માંડવીના સમુદ્રમાં પરત છોડ્યા

બાડા અને ત્રગડીના સમુદ્રકાંઠે માદા કાચબાએ મુકેલા ઈંડાનું ખાસ પ્રકારના પાંજરા મૂકીને. કરાય છે રક્ષણ

ભુજ: રણપ્રદેશ કચ્છના બંદરીય માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થથી ત્રગડી વચ્ચેના સમુદ્રી કિનારા પાસે ઓલિવ રિડલે પ્રજાતિની માદા કાચબાએ બે અલગ સ્થળે રેતીમાં માળા બનાવી અગાઉ મુકેલા ઈંડામાંથી તાજેતરમાં થયેલા ૧૩ જેટલા સ્વસ્થ નવજાત બચ્ચાંઓની સ્થાનિક વન વિભાગના કર્મચારીઓએ લીધેલી સંભાળ બાદ આખરે સ્થાનિક માછીમારોના સહયોગથી આ બચ્ચાંઓને સુરક્ષિત રીતે અરબી સમુદ્રમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા. માંડવી ફોરેસ્ટર શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, માદા કાચબા દ્વારા સમુદ્ર કિનારે બનાવેલા માળામાં અંદાજે ૭૦થી ૮૦ જેટલા ઈંડા રાખવામાં આવતાં હોય છે.

દર વર્ષે નેસ્ટીંગ સિઝનમાં ઓલિવ રિડલી માદા કાચબા તેમજ અન્ય પ્રજાતિની માદા કાચબા દરિયાકાંઠે ઈંડા મૂકે છે જેનું વન વિભાગ દ્વારા ખાસ પ્રકારના પાંજરા બનાવીને સંરક્ષણ કરે છે.

ગત ૨૩મી મેના વિશ્વ કાચબા દિવસના ચાર દિવસ પછી એટલે કે ૨૭મી મેના રોજ કાચબાના બચ્ચાંઓ ઇંડામાંથી બહાર આવ્યા હતાં. તબીબી ચકાસણી બાદ નાનકડાં જીવોને અફાટ અરબી સમુદ્રમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પરત મૂકાયા હોવાનું શૈલેષ પટેલે ઉમેર્યું હતું.

આપણ વાંચો:  ગુજરાતમા વધતું શહેરીકરણ, પાણી પૂરવઠા માટે પૂરતા આયોજનની જરૂરિયાત

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કાચબાની ઓલિવ રીડલી પ્રજાતિને વનવિભાગે અનુસૂચિ-૧માં વર્ગીકૃત કરી છે અને તેના શિકાર પર પ્રતિબંધ છે. આંતરરાષ્ટ્રીય સંગઠન IUCNએ પણ આ કાચબાનો લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરેલો છે. ગુજરાતના દરીયાકાંઠે આ કાચબાઓ ઈંડા મુકવા આવે છે. પોરબંદરના માધવપુર નજીક ખાસ તેની હેચરી પણ બનાવાયેલી છે. દરિયાઈશાસ્ત્રના જાણકારોના મતે કચ્છના દરેક દરિયાકિનારે આ કાચબાની પ્રજાતિની હાજરી નોંધાયેલી છે. ઓલિવ રિડલી ટર્ટલ મોટા પ્રમાણમાં માંસ, ઈંડા અને ફિશિંગની જાળીમાં પકડાઈ જવાથી મોતને ભેટી રહ્યાં છે. વિપુલ પ્રમાણમાં તેઓના ઈંડાને હેચરીમાં મૂકી ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ દરિયામાં ચાલ્યા જાય છે.વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના એક આંકડા મુજબ વૈશ્વિક ધોરણે ૮ લાખથી વધુ આ પ્રજાતિની માદા પૃથ્વી પર હયાત છે. ગુજરાતમાં સમુદ્રીકાંઠે થઈ રહેલા ઔદ્યોગિકરણ, પ્રવાસનના વિકાસ, દરિયા કાંઠે રખડતાં શ્વાનો-શિયાળ જેવા પશુ અને શિકારીઓના કારણે ઓલિવ રીડલી ટર્ટલની પ્રજાતિ માટે મોટો ખતરો ઉભો થયો છે તેમ વન વિભાગના પારુલબેન ચૌધરીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button