‘રાહુલ મને ગમતો નથી, જીવતો નહીં મુકું’: સાવકા પિતાએ આંગળિયાત પુત્રની કરી હત્યા, પોલીસે ઝડપ્યો

ભુજ: કચ્છના અંજાર તાલુકાના માથક ગામ ખાતે આવેલા ખાનગી એકમમાં સમસ્ત માનવજાતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સાવકા પિતાએ 6 વર્ષના પુત્રને નિર્દયતાપૂર્વક પાણી ભરેલાં ખાડામાં ડૂબાડી દઈને હત્યા કરી દેતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. ઘટના અંગે મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાની વતની 35 વર્ષિય પૂજા અહીરવાલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં દોઢ-બે માસથી માથક ગામના પાદરે આવેલી ઈન્ડસ્ટ્રીયલ બેગ પેકેજીંગ કંપનીમાં પતિ ખેતસીંગ જોડે બેગ ફોલ્ડીંગ કરવાની મજૂરી કરે છે અને આ કંપનીએ અહીં કામ કરતા કામદારોને ફાળવેલી ઓરડીમાં રહે છે.
બે દાયકા અગાઉ તેણીના દયારામ કુશ્વાહા સાથે થયેલાં લગ્ન બાદ સંતાનમાં ત્રણ પુત્રો થયા હતા જેમાં 16 અને 18 વર્ષના બે પુત્રો દિલ્હી શહેરમાં રહીને શેરડીની એક ફેક્ટરીમાં કામ કરે છે, જયારે છ વર્ષનો રાહુલ તેની સાથે રહેતો હતો. દયારામના આકસ્મિક મૃત્યુ બાદ પૂજાએ ચાર મહિના અગાઉ ખેતસીંગ સાથે બીજા લગ્ન કર્યા હતાં. ખેતસીંગની પહેલી પત્ની નાસી જતાં તેણે પૂજા જોડે બીજા લગ્ન કર્યાં છે. પહેલી પત્નીથી સંતાનમાં તેને 10 અને 4 વર્ષના બે પુત્રો છે જે વતનમાં રહે છે.
આપણ વાંચો: ગુજરાતમાં બ્લેકઆઉટ મોકડ્રિલ: અમદાવાદ, બોટાદ, જામનગર સહિત અનેક શહેરોમાં છવાયો અંધારપટ
હત્યાના દિવસે આરોપી કારખાને નહોતો ગયો
પૂજાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, દરરોજ સવારે દંપતી કામે જાય ત્યારે રાહુલને બાજુમાં રહેતા દિયરના ઘેર સાર સંભાળ માટે મૂકી જતું. શુક્રવારે સવારે પોતાની તબિયત સારી ના હોવાનું બહાનુ કરીને ખેતસીંગ ફેક્ટરીમાં ગયો નહોતો. પૂજા રાહુલને પતિ જોડે રાખીને એકલી મજૂરીએ ગઈ હતી. સવારે દસેક વાગ્યે ખેતસીંગ ફેક્ટરીમાં આવ્યો હતો અને પૂજાને “રાહુલ ક્યાંક ખોવાઈ ગયો. છે, મળતો નથી’ તેમ જણાવ્યું હતું.
રાહુલ ગુમ થયો હોવાનું જાણીને કંપનીના સિક્યોરીટી ગાર્ડો અને અન્ય મજૂરો પણ રાહુલની શોધખોળમાં જોડાયાં હતા જો કે રાહુલનો પત્તો મળ્યો નહોતો.
આદિપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે
સાંજના અરસામાં કંપનીના જવાબદારોએ સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ખેતસીંગનું કરતૂત બહાર આવ્યું હતું. પત્નીના ઘરેથી બહાર નીકળ્યાના ગણતરીના કલાકો બાદ ખેતસીંગ રાહુલને લઈને ઘરની બહાર જતો જોવા મળ્યો હતો અને થોડીકવાર બાદ ઘરે એકલો પાછો આવતો જોવા મળ્યો હતો. ખેતસીંગનો ઉધડો લેવામાં આવતા તેણે રાહુલને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હોવાની કેફિયત આપતાં શ્રમિકો તે સ્થળે દોડી જતાં ખાડામાંથી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. હૈયું હચમચાવી દેનારા આ હત્યાકાંડ અંગે જાણ થયા બાદ આદિપુરના પી.આઈ એમ.સી. વાળા સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આંગળિયાત બાળક મુદ્દે થયો હતો વિવાદ
પી.આઈ એમ.સી વાળાએ જણાવ્યું કે, તાજેતરમાં પૂજા સાથે પતિએ રાહુલને શા માટે સાથે લઈને આવી છો એ મુદ્દે વિવાદ થયો હતો. રાહુલ મને ગમતો નથી, તેને દાદા-દાદી પાસે મૂકી આવ નહીં તો હું તેને જીવતો નહીં મૂકું’ પોલીસે ખેતસીંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ સમગ્ર હત્યકાંડે કચ્છ સહીત રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે.