ભુજ

“કચ્છમાં દરિયામાં વહી જતા પાણીને રોકવા રબર ડેમ બનાવાશે” કુંવરજી બાવળિયાએ સિંચાઈ કામોની સમીક્ષા કરી

ભુજ: જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પ્રધાન કુંવરજી બાવળીયાએ આજરોજ કચ્છના માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં સિંચાઇ વિભાગ હસ્તક ચાલતા વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી ‌માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા પણ તાકીદ કરી હતી.

માંડવી ખાતે કુંવરંજી બાવળિયાએ વિવેકાંનદ રીસર્સ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે બેઠક કરીને જિલ્લાના ૧૬૨ ગામનો પાણી અંગેનો સર્વે, જળસંચયની સ્થિતિ, વોટર બજેટ, પાણીની શુદ્ધતા સહિતના મુદ્દાઓને આવરી લેતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. નદીઓનું દરિયામાં વહી જતા પાણીને બચાવવા માટે રબર ડેમ બનાવવા અંગેની શક્યતા ચકાસવા સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કોડાય તથા ભાનાડા પંપ હાઉસની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે નલીયા ખાતેના પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનની જાત મુલાકાત લઈને અનાજનો જથ્થો, ખરીદી વગેરેની સમીક્ષા કરી ઉત્પાદનના વેચાણ અર્થે આવતા ખેડૂતોની રજૂઆત સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી હતી. અબડાસા તાલુકાના ભારાપરમાં નાની સિંચાઇ યોજનાના પ્રગતિ હેઠળના રિસ્ટોરેશનના ચાલુ કામોની મુલાકાત લીધી હતી. ભારાપર નાની સિંચાઈ યોજના અંગેની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી.

કુંવરંજી બાવળિયાએ ઉસ્તીયા ખાતે સર્ધન લીંક ફેઝ-૨ના ચાલુ કામોની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને કામની પ્રગતિ અંગે વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ ભાડરા ખાતે પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક ડેમના રિપેર તથા મેન્ટેન્સ વર્કના હ્યાત કામની મુલાકાત લઈને સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે કામો પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માતાના મઢ ખાતે સિંચાઇ વિભાગ દ્વારા રીચાર્જ ટેન્કના કામોની મુલાકાત લીધી હતી. આ સાથે નખત્રાણા તાલુકાના મથલ, ઉમરાપર ખાતે નાની સિંચાઇ યોજનાના કામો તેમજ મકનપર ખાતે નોર્ધન લીંક ફેઝ-૨ના ચાલુ કામોની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો…યોગ દિવસ પર ગુજરાતની ગૌરવગાથા! વડનગરમાં 2,121 લોકોએ ભુજંગાસન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button