શિણાય નજીક અપહ્યત કિશોરી ઉપર દુષ્કર્મ આચરનારા બે નરાધમ પકડાયા

ભુજઃ પૂર્વ કચ્છના આદિપુરના શિણાય ગામ નજીક ઓટલા પર બેઠેલા કિશોર-કિશોરીને પોલીસનો ડર બતાવી, નિર્જન જગ્યાએ કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાના ભારે ચર્ચાસ્પદ બનેલા મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે નરાધમોની ધરપકડ કરી હતી. અંજાર-આદિપુર માર્ગ ઉપર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા માર્ગ ઉપર ગત તા 26-6-2025ની સાંજે આ બનાવ બનાવ બન્યો હતો. જેમાં એકાંત માણી રહેલા કિશોર-કિશોરીને પોલીસ મથકે લઈ જવાનું કહી, બે શખ્સોએ કિશોરીનું અપહરણ કર્યું હતું. નિર્જન જગ્યાએ લઇ જઈ, જાનથી મારીને જમીનમાં દાટી દેવાની ધમકી આપી તેનાં ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
કચ્છમાં ચકચાર જગાવનારા આ બનાવને લઈને પોલીસે જુદી-જુદી ટુકડીઓ બનાવી તપાસ કરી હતી. પૂર્વ કચ્છ સ્થાનિક ગુન્હાશોધક શાખા અને આદિપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્મુમન ઈન્ટેલિજન્સની મદદથી આ ગુનામાં સામેલ મહેશ ઉર્ફે ડાભલો મોતી કોળી (રહે.વિજય નગર,કોળીવાસ, અંજાર), સંદિપગર ઘનશ્યામગર ગુંસાઈ (રહે.નવકાર હોમ્સ, મેઘપર કુંભારડી, તા.અંજાર)ની ધરપકડ કરી હતી. હિનકૃત્ય કરનારા આરોપીઓ પાસેથી કાળા રંગનું સુઝીકીની મોટરસાઈકલ જીક્ષર કિં.રૂા.૭૦ હજાર, એક ૫૦૦૦૦ રૂપિયાનો મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૧.૨૦ લાખનો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. તહોમતદારોને રિમાન્ડની માંગ સાથે નામદાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.