અંજાર પાસેની ટપ્પર ડેમ સાઈટ આસપાસના વિસ્તારમાંથી મળ્યાં વાનરના અતિ જૂના જીવાશ્મિ

ભુજઃ સમગ્ર ભારતમાં ફક્ત હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ કચ્છના અંજાર તાલુકામાંથી મળી આવ્યાના અહેવાલો છે. અહીંના ટપ્પર પાસે આવેલા ટપ્પર બંધ આસપાસના વિસ્તારમાંથી દોઢ કરોડ વર્ષથી જૂના વાનરના જીવાશ્મિ મળતાં હવે સમગ્ર કચ્છને જિયોલોજિકલ હેરિટેજ તરીકે જાહેર કરવો જરૂરી બન્યું છે તેમ એક બિન નિવાસી કચ્છી સંશોધક ડૉ. હિરજી હરજી ભુડિયાએ જણાવ્યું છે.
આ અશ્મિની ખોજ પણ ડો.ભુડિયાએ કરી હોવાનું જાણવા મળે છે. ડો.ભુડિયાના જણાવ્યા પ્રમાણે આ અશ્મિમાં થાપા, ખભા, હાથ અને પગના હાડકાંનો સમાવેશ થાય છે. આ વાનર જીવાશ્મિ ‘માયોસિન’ યુગના શિવાલિક પિથેક્સ એટલે ગ્રીક ભાષામાં તેનો અર્થ થાય છે વાનર તરીકે ઓળખવામાં આવે છે.

૧૯મી સદીમાં સૌપ્રથમ હિમાલયન પર્વતમાળામાંથી વાનરના અશ્મિ મળ્યા હતા. ડો.ભુડિયાના જણાવ્યા પ્રમાણે આજથી અગિયાર વર્ષ પહેલાં આજ ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી વાનરના દાંતનો જીવાશ્મિ મળ્યો હતો. આ જીવાશ્મિ જોયા બાદ તેમણે ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ કરવા નક્કી કર્યું હતું અને લાંબી મહેનત બાદ આ જીવાશ્મિ શોધવામાં તેમને સફળતા મળી છે અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભુજના મોખાણા ગામની સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનમાં સડેલો ખોરાક આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો
દરમ્યાન, કરોડો વર્ષ જૂનાં વાનરોના જીવાશ્મિ અંગે વિશ્વના પેલિઓન્ટોલોજીસ્ટમાં પ્રવર્તતી જુદી-જુદી થિયરી અંગે ડૉ. ભુડિયાએ જણાવ્યું હતું કે, ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે. જો કે, આ વાનરો માનવોના પૂર્વજ વાનરોથી થોડાં અલગ હતાં. અન્ય કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પીથેકસને વર્તમાન ઊરાંગ ઊટાંગ અને ગોરિલાના પૂર્વજ માને છે.

થોડાં સમય અગાઉ પ્રસિદ્ધ માતાના મઢ પાસે જીએમડીસીની ખાણ પાસેથી મળેલાં વિષ્ણુ પુરાણમાં જેનો ઉલ્લેખ છે એ વાસુકિ નાગના અશ્મિઓએ પણ દુનિયાભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મૂળ માધાપરના અને લંડનમાં સ્થાયી થયેલા ડૉ.ભુડિયા વર્ષો પહેલાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સેવા આપી ચૂકેલાં છે.