ધોળાવીરા પાસે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો | મુંબઈ સમાચાર

ધોળાવીરા પાસે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો

ભુજઃ કચ્છમાં ઊભી થયેલી નવી ફોલ્ટલાઇનના સક્રિય થયા બાદ, સતત આ રણપ્રદેશની ધરાને ધ્રુજાવી રહેલા ધરતીકંપના નાના-મોટા આંચકાઓની વણથંભી વણઝાર યથાવત રહેતી હોય તેમ પુરાતન શહેર ધોળાવીરા નજીક મંગળવારે વહેલી સવારના અરસામાં ભારે અવાજ સાથે આવેલા ધરતીકંપના શક્તિશાળી આંચકાથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી ઉઠ્યું છે.
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, મંગળવારે સવારના ૭ અને ૨૦ કલાકના હડપ્પન નગરી ધોળાવીરાથી ૨૬ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપનો આંચકો ઉદભવ્યો હતો. આ ભૂકંપની વિશેષ અસર કેન્દ્રબિંદુ આસપાસના અમરાપર, ગણેશપુર, બાંભણકા,વેરસર, લોદ્રાણી,બાલાસર સહિતના ગામોમાં તેમજ પાકિસ્તાનના સિંધ પ્રાંત સુધી જણાઇ હતી.

નોંધનીય છે કે,ધરતીકંપ માટે અત્યંત સંવેદનશીલ ઝોન-૫ વિસ્તારમાં આવતા રણપ્રદેશ કચ્છમાં આફ્ટરશોકનુ પ્રમાણ સતત વધી રહ્યું છે, ખાસ કરીને વાગડ વિસ્તારમાંથી પસાર થતી ફોલ્ટલાઈન પર તેની સંખ્યા વિશેષ રહેવા પામી છે.

કચ્છમાં અવિરત આવી રહેલા આંચકાઓને લઈને કચ્છ સહીત બૃહદ કચ્છમાં વસતા કચ્છી પરિવારો ભારે ચિંતામાં મૂકાયા છે.

આપણ વાંચો:  આ રાજ્યમાં ખાબકશે જોરદાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button