ભુજ

ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને તહેવારો ટાંકણે બંધ કરી દેવાઈ!

રેલવે વિભાગે પૂરતા પ્રવાસીઓ ન મળતા હોવાનુ કારણ આગળ ધરી દીધું: પ્રવાસીઓમાં ભારે નારાજગી

ભુજઃ તાજેતરમાં રંગેચંગે શરૂ કરવામાં આવેલી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને શ્રાવણી તહેવારો ટાંકણે જ એકાએક બંધ કરી દેવામાં આવતાં પ્રવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.

પશ્ચિમ રેલવે પાસેથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે, ચાર ફેરા દરમ્યાન મુસાફરોની સંખ્યામાં નોંધાયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર ૦૯૫૪૬/ ૦૯૫૪૫ ભુજ-રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ રાત્રી ટ્રેનને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. ભુજથી આ ટ્રેન ૮ ઓગસ્ટથી જ્યારે રાજકોટથી ૭ ઓગસ્ટથી રદ રહેશે. ભુજ-રાજકોટ વચ્ચે બંને તરફે આ ટ્રેનના ૩-૩ ફેરા થયા છે અને મંગળવારે રાજકોટથી છેલ્લી ટ્રીપ ઉપડી આજે ભુજથી છેલ્લી ટ્રીપ જશે. માત્ર ત્રણ જ ફેરામાં પૂરતા પ્રવાસીઓ મળતા ન હોવાનું જાણીને આ નિર્ણય લેવો પડ્યો હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

આ અંગે એક મુસાફરે રોષપૂર્વક જણાવ્યું હતું કે, બે દાયકા બાદ ચાલુ થયેલી ભુજ-રાજકોટની ઇન્ટરસિટી અગાઉ દૈનિક હતી અને ગત ૨૧મી માર્ચથી ૩૦ જૂન સુધી ચાલુ કરીને સેવા બંધ કરી દેવામાં આવી હતી. એ વેળાએ કોઈ રાજકારણી કે પ્રવાસીઓની વિવિધ સંસ્થાઓ દ્વારા રેલવે સમક્ષ રજૂઆત ધરાર ન કરાઇ. પાણી પુરવઠા મંત્રી દ્વારા તાજેતરમાં રજૂઆત કરવામાં આવતાં મોડી રાત્રીના વિચિત્ર સમયે આ ટ્રેન દોડાવવામાં આવતાં કોઈ નેતાનો રાજકીય અહમ ઘવાતાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડનારી આ મહત્વપૂર્વં ટ્રેનને મનસ્વી રીતે બંધ કરી દેવાઇ હોઈ શકે.

આ ટ્રેન બાબતે રેલવે દ્વારા જરૂરી પ્રચાર-પ્રસાર ન કરાતા મોટાભાગના પ્રવાસીઓ આ સુવિધાથી અજાણ હતા. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર ત્રણ જ દિવસ હતી જેમાં ભુજથી બુધ, શુક્ર અને રવિ જ્યારે રાજકોટથી મંગળ, ગુરૂ અને શનિવારે ઉપડતી. ભુજથી રાજકોટ જવામાં બસમાં માત્ર ૫ ક્લાક લાગે છે જયારે ટ્રેનમાં સાત કલાક લાગતા હતા. અમદાવાદ ડિવિઝનમાં રેલવેને સૌથી વધુ આવક કચ્છથી થાય છે અને કચ્છને જ રેલ સુવિધા આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમ એક જાગૃત મુસાફરે ઉમેર્યું હતું.

આપણ વાંચો:  અમદાવાદના બોપલ નજીકના ઘુમામાં ફાયરિંગમાં એક યુવકનું મોત, હત્યા કે આત્મહત્યા તપાસ શરુ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button