ગ્રીન હાઈડ્રોજન મેગા પ્લાન્ટના નિર્માણ માટે કંડલા નજીક ૧૩૦૦ એકર જમીનનું સંપાદન કરાયું

ભુજ: ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના મેગા પ્લાન્ટના નિર્માણ માટે પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલાની નજીક પડાણા ગામ પાસે ૧૩૦૦ એકર જમીનને ચિહ્નિત કરાઈ છે. દેશમાં વાયુ પ્રદુષણની વકરી રહેલી સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકાર ગ્રીન હાઇડ્રોજનને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત તરીકે સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે, જેમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અને પાયલોટ પ્રોજેક્ટ્સ મુખ્ય છે. એલએન્ડટીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ.એન. સુબ્રમણ્યમે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજન અને નાના મોડ્યુલર રિએક્ટર્સ (એસએમઆર) માં આ કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રીન હાઇડ્રોજનમાં પ્રથમ-મૂવર ફાયદો કરાવતું ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પણ પ્રગતિમાં છે.
ભારતમાં મોડ્યુલર રિએક્ટર્સ ટેકનોલોજીના ટ્રાન્સફર માટે યુ.એસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી તરફથી નિયમનકારી મંજૂરી મળવી એ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. આ માટે એલએન્ડટી માત્ર ત્રણ લાયક ભારતીય કંપનીઓમાં સ્થાન મેળવે છે, જે ભારતમાં પરમાણુ ઊર્જાના વ્યાપારીકરણનું નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજન અને એસએમઆર બંને માટે વૈશ્વિક ભાગીદારો સાથે શરૂઆત કરી છે, લાંબા ગાળાનું લક્ષ્ય માલિકીની ટેકનોલોજી વિકસાવવા, મુખ્ય સાધનોનું ઉત્પાદન કરવાનું અને ઉભરતા વૈશ્વિક બજારો માટે તૈયાર કરાયેલા ખર્ચ-અસરકારક, નવીન ઉકેલો પહોંચાડવાનું છે.
ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા યુનિટના ઉત્પાદન માટે કચ્છના કંડલામાં જમીન સુરક્ષિત કરવામાં આવી છે, લાર્સન એન્ડ ટુબ્રો વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન, એમોનિયા અને મિથેનોલમાં ઈપીસી પ્રોજેક્ટ્સ ચલાવવા માટે પણ સક્ષમ છે. અગાઉ, લાર્સન એન્ડ ટુબ્રોએ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સના વિકાસ માટે એલએન્ડટી ગ્રીન એનર્જી કંડલા પ્રા. લિ.ના સમાવેશની જાહેરાત કરી હતી. પાણીના વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ દ્વારા ઉત્પાદિત અને નવીનીકરણીય ઊર્જા દ્વારા સંચાલિત હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખાય છે. પાણીના વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ દ્વારા ઉત્પાદિત એટલે ગ્રીન હાઇડ્રોજન પ્લાટનાં લીધે અબજોના રોકાણથી રોજગારીની તકો જન્મશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મેગા પ્રોજેક્ટની આધારશીલા નાખ્યા બાદ દેશની અગ્રણી કંપનીઓ રોકાણ કરવા માટે આગળ આવી રહી છે. ગાંધીધામના પડાણા પાસે ૧,૩૦૦ એકર જેટલી વિશાળ જમીનનું સંપાદન પણ થયુ છે, ત્યારે આગામી સમયમાં આ મહત્વકાંક્ષી પ્રકલ્પ આકાર લેશે ત્યારે બહોળી સંખ્યામાં રોજગારી પેદા થશે એ બાબતમાં કોઈ સંદેહ ન હોવાનું એસ.એન. સુબ્રમણ્યમે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…હાઇડ્રોજનથી ચાલતા વાહનો માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટને સરકારની મંજુરી; ગુજરાતનાં બે રૂટનો સમાવેશ