ભુજના સાક્ષી હત્યા કેસમાં સહ આરોપી યુવકની ધરપકડ, તપાસ શરુ…

ભુજ : કચ્છ જીલ્લાના ભુજમાં ગત ગુરુવારે સરાજાહેરમાં 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી જેઠાલાલ ખાનિયાની હત્યા કેસમાં પોલીસે એક સહ આરોપીની ધરપકડ કરી છે. મૃતક સાક્ષી જેઠાલાલ ખાનિયા એરપોર્ટ રોડની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.
ભાનુશાલી સમાજની 19 વર્ષીય સાક્ષી જેઠાલાલ ખાનિયાનું ગળું કાપીને સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી મોહિત મુળજી સિદ્ધેશ્વરા સાથે મોટરસાઇકલ પર આવેલા સહ આરોપી જયેશ જયંતી ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે.
ગળું કાપી સરાજાહેર કરપીણ હત્યા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ગત ગુરુવારે સાંજે સંસ્કાર કોલેજની બહાર આ બનાવ બન્યો હતો. જેમાં આરોપી મોહિતે તેના ફોન નંબરને બ્લોક કરી દેવાના મામલે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેનું ગળું કાપી સરાજાહેર કરપીણ હત્યા કરી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
જયેશ ઠાકોરને પણ પીઠના ભાગે છરી વાગી હતી
આ ઘટના સમયે હત્યારા સાથે આવેલા જયેશ ઠાકોરને પણ પીઠના ભાગે છરી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ બાદ સાક્ષી અને સહ આરોપીને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ગુરુવારથી હોસ્પિટલમાં રહેલા સહ આરોપીની સારવાર પૂર્ણ થયે પોલીસે તેની ધરપકડ કરી છે. અગાઉ મુખ્ય આરોપી મોહિતની અટકાયત બાદ ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…ભુજની વિદ્યાર્થિનીની ગળું ચીરી સરાજાહેર હત્યાઃ આરોપી પકડાયો, પણ ગુનાઓ રોકાશે?