રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું કાર્યાલય ખુલ્યું, સોથી વધારે ક્ષત્રિયણીઓ પ્રતીક ઉપવાસ પર.

આજરોજ રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ક્ષત્રિય આગેવાનો તથા ક્ષત્રિયાણી બહેનો દ્વારા શાંતિપૂર્ણ અને વ્યૂહાત્મક આંદોલનનો પ્રારંભ થયો હતો. સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના જણાવ્યા મુજબ શાંતિપૂર્ણ માર્ગે પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવશે આજરોજ 21 બહેનો ઉપવાસ પર ઉતરવાના હતા તેની જગ્યાએ સ્વયંભૂ 100 થી વધારે બહેનો રામધૂન કૃષ્ણધૂન અને સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચાર કરી ઉપવાસ પર બેઠા છે.

સમગ્ર લોકસભા વિસ્તારમાં ધર્મરથ ફેરવવામાં આવશે અને લોકોને અસ્મિતા ની લડાઈમાં જોડવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં સાત રથ ફેરવવામાં આવશે. દરેક વોર્ડના એક પ્રમુખ તથા તેની નીચે 10 સભ્યો ની નિમણૂક કરવામાં આવી છે તે જ રીતે તાલુકા તથા ગામડામાં પણ આજ રીતે 11 જણાની ટીમ 18 વરણને ભેગા રાખી પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરશે. સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ થાય તે માટે સંકલન સમિતિ કાર્યરત છે.

ગઈકાલે ડેમેજ કંટ્રોલ બાબતે ભાજપના આગેવાન મંત્રીઓ રાજકોટ ખાતે ભેગા થયા હતા તે સંદર્ભે પત્રકારોએ પ્રશ્ન પૂછતા પીટી જાડેજા એ જણાવ્યું હતું કે અમને કોઈ બાબતની જાણ નથી અમારી સંકલન સમિતિમાંથી એક પણ સભ્યને બોલાવવામાં આવ્યા નથી બની શકે કે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા મંત્રીઓ અને હોદ્દેદારો તેમાં સામેલ થયા હોય પરંતુ હાલ રોષ એટલો બધો છે કે સમાજ એક થઈ અને માત્ર એક જ મુદ્દા પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યો છે. હવે તો ફોર્મ ખેંચવાની તારીખ પણ પૂર્ણ થઈ હોય પુરુષોત્તમભાઈ નું અભિમાન સામે સમાજનું સ્વાભિમાન ટકરાશે.