આપણું ગુજરાત

ગાંધીનગરના કોબામાં ભગવાન મહાવીરના લલાટ પર અદ્ભુત ‘સૂર્યતિલક’: શ્રદ્ધાળુઓ ઉમટ્યા

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના કોબા ગામ સ્થિત શ્રી મહાવીર આરાધના કેન્દ્ર ખાતે આજે, 22 મેના રોજ, બપોરે 2 વાગ્યે અને 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના લલાટ પર સૂર્ય કિરણોનું અદ્ભુત તિલક જોવા મળ્યું હતું. આ અલૌકિક નજારાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ મનમોહક દ્રશ્ય લગભગ ત્રણ મિનિટ સુધી ચાલ્યું હતું, જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યું હતું.

ખગોળીય ગણતરી અને શ્રદ્ધાનો સંગમ

ઉલ્લેખનીય છે કે આ ઘટના પૂજ્ય આચાર્ય ભગવંત કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજની સ્મૃતિમાં યોજાય છે. 39 વર્ષ પહેલાં તેમની સમાધિના દિવસે આ મંદિરનું નિર્માણ ખગોળીય ગણના અને વૈજ્ઞાનિક ઢબે એવી રીતે કરવામાં આવ્યું હતું કે દર વર્ષે 22 મેના રોજ બપોરે 2:07 વાગ્યે સૂર્યની કિરણો સીધી ભગવાન મહાવીરના લલાટ પર પડે.

છેલ્લા 38 વર્ષથી આ ઘટના કોઈપણ ચૂક વગર સૂર્યતિલકની ઘટના સતત બની રહી છે, જેના કારણે દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો પણ આ દ્રશ્ય જોવા માટે કોબા પહોંચે છે. ગુજરાતના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 18 વર્ષથી આ ચમત્કારિક દ્રશ્યના સાક્ષી બને છે અને તેમના મતે “વિજ્ઞાન જ્યાં ખતમ થાય છે, શ્રદ્ધા ત્યાંથી શરૂ થાય છે.” આ સૂર્યતિલક 22 મે સિવાય અન્ય કોઈ દિવસે શક્ય નથી, જેને લોકો એક દૈવી ચમત્કાર માને છે. આ દેરાસરની રચના ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી કરવામાં આવી છે, જે આ અદ્ભુત ઘટનાને શક્ય બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button