આપણું ગુજરાતટોપ ન્યૂઝ

નખશિખ રંગકર્મી કૌસ્તુભ ત્રિવેદીની અણધારી એક્ઝિટ: ઇન્ડસ્ટ્રી આઘાતમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગુજરાતી રંગમંચના દિગ્ગજ નિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદીનું મંગળવારે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ-નાટક ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેઓ અનેક પ્રખ્યાત નાટકોનું નિર્માણ કરી ચૂક્યા છે. તેઓએ રામાનંદ સાગરની રામાયણમાં કેવટનો રોલ પણ નિભાવ્યો હતો.

લગે રહો ગુજ્જુભાઈ’,બાએ મારી બાઉન્ડ્રી’, બાબો આવ્યો કુરિયર’માં સહિતના સુપરહિટ નાટકો બનાવનાર કૌસ્તુભ ત્રિવેદીનું અચાનક અવસાન થતા ગુજરાતી રંગમંચ શોકાતુર બન્યું છે. કૌસ્તુભ ત્રિવેદી પ્રોડ્યુસર હતા અને તેમણે 40 વર્ષની કારકિર્દીમાં 200થી વધુ નાટકો અને ચાર ગુજરાતી ફિલ્મો બનાવી હતી. ગુજરાતી રંગભૂમિએ આજે એક ધુરંધર નાટ્યકાર ગુમાવ્યો છે. જે લોકોને થિયેટર ડ્રામા પસંદ છે તેમને કૌસ્તુભ ત્રિવેદીનો પરિચય આપવાની જરૂર નથી. એમ કહેવાય છે કે ગઈ દિવાળી બાદથી તેમની તબિયત નાદુરસ્ત જ હતી.

છેલ્લા એક અઠવાડિયાથી તબિયત વધારે ખરાબ હતી અને તેને પગલે મંગળવારે તેમનું નિધન થયું હતું. તેમના બંને કાકા અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સુવિખ્યાત કલાકારો હતા. તેઓ ઈડરની પાસે આવેલા કુકડિયા ગામના મૂળ વતની હતા. તેમણે રંગભૂમિના દરેક કલાકાર, દિગ્દર્શક, નિર્માતા સાથે કામ કર્યું હતું પછી એ પરેશ રાવલ હોય, સિદ્ધાર્થ રાંદેરિયા હોય, ટીકુ તલસાણિયા હોય કે સંજય ગોરડિયા હોય. રંગભૂમિના મોટાથી લઈને નાના કલાકારો સાથે પણ કામ કર્યું હતું. આ જ રીતે દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે કાંતિ મડિયા, કમલેશ મોતા, સિદ્ધાર્થ રાંદેરિયા, પરેશ રાવલ, વિપુલ મહેતા સાથે તેમણે કામ કર્યું હતું. તો નિર્માતા તરીકે રાજેન્દ્ર બુટાલા, કિરણ સંપટ, સંજય ગોરડિયા વગેરે અનેક સાથે નાટકોનું નિર્માણ કર્યું. 40 વર્ષની કારકિર્દીમાં 200થી 250 જેટલાં નાટકોનું નિર્માણ અને લગભગ 35,000થી વધુ શો કરવાનો અદ્વિતીય અને અનોખો વિક્રમ તેમના નામે છે. ગુજરાતી નાટકો સિવાય તેમણે હિન્દી નાટકો, કવ્વાલી અને સ્ટેન્ડઅપ કોમેડી શોનું નિર્માણ પણ કર્યું છે. તેમણે અભિનેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને પહેલું નાટક કર્યું ગિરેશ દેસાઈ – ભાઉસાહેબનુંપર સ્ત્રી જેને માત રે’. ત્યાર બાદ જાણીતા લેખક દામુ સાંગાણી લિખિત નાટક રમકડા વર’ પરથી બનેલુંસસરો વેચવો છે’ આવ્યું જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા. આમાં તેમની સાથે કલ્પના દીવાન જેવાં દિગ્ગજ અભિનેત્રી હતા. તેમણે જૂની રંગભૂમિના નાટકમાં કામ કર્યું હતું. નાટકનું નામ હતું સળગતો સંસાર’ અને એના દિગ્દર્શક હતા જૂની રંગભૂમિના જાણીતા લેખક પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર વિનયકાન્ત દ્વિવેદી. એ નાટક સફળ થયા પછી તેમણે અનેક નાટકો ક્રમશ: મોડર્ન રંગભૂમિનાં કર્યાં હતાં. મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે સાથે પણ તેમણે નાટકોનું નિર્માણ કર્યું હતું જેવા કેકેસ નંબર 99′, પપ્પાને પ્રેમ છે, દીકરાને વહેમ છે’,દિવ્યા દોષી છે?’ અને પ્રવીણ સોલંકી લિખિત અને વિપુલ વિઠલાણી દિગ્દર્શીત નાટક છલનાયક’ અત્યારે ફ્લોર પર છે. આ સિવાય તેમણે નીલેશ દવે સાથે એકમાત્ર ગુજરાતી વેબસિરીઝદેસાઈ ડાયમંડ્’ પણ પ્રોડ્યુસ કરી હતી.

કૌસ્તુભ ત્રિવેદી સાથે 102 નાટકોમાં સાથે રહેનારા સંજય ગોરડિયાએ કહ્યું હતું કે અમારી મૈત્રી ગુજરાતી રંગમંચના ઈતિહાસમાં સૌથી લાંબી 25 વર્ષની હતી. બા રિટાયર થાય છે, જલસા કરો જેંતીલાલ, અમે લઈ ગયા તમે રહી ગયા, મસાલામામી, લાલી લીલા, છગન મગન તારા છાપરે લગન, જાદુ તેરી નજર, રૂપિયાની રાણી ડોલરિયો રાજા, ઝીરો બની ગયો હીરો, પ્રેમ કરતાં પંક્ચર પડ્યું, એક મુરખને એવી ટેવ, જંતરમંતર અને છેલછબીલો ગુજરાતી જેવા અનેક નાટકો સાથે કર્યા છે. અમારી બંનેની મુલાકાત 1993માં સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ભાઈના સેટ પર થઈ હતી, આ નાટકમાં અમે બંને અભિનય કરી રહ્યા હતા, ત્યારે જે મૈત્રી શરૂ થઈ તે તેમના જીવનના અંત પર્યંત ચાલી હતી.

આમ તો કૌસ્તુભ ત્રિવેદીની કારકિર્દીની શરૂઆત 1977થી થઈ હતી, પરંતુ તેમને સ્થાપિત કરનારું નાટક હતું 1989માં આવેલું અજાતશત્રુ. એ પછી તેમણે પાછું વળીને જોયું નહોતું. પૈસાના વ્યવહારમાં ચોખ્ખો સ્વભાવ એમનો સૌથી મોટો ગુણ હતો. છેલ્લાં થોડા સમયથી બિમારીના કારણે કામ કરવા માટે અક્ષમતા વ્યક્ત કરતાં હોવા છતાં અત્યારે પણ નાટકોમાં તેમનું નામ આવી રહ્યું છે, એનું કારણ છે તેમની ક્રેડિબિલીટી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button