ગુજરાતના પૂર્વ રાજ્યપાલ Kamla Beniwalનું લાંબી બીમારી બાદ નિધન
![Former Governor of Gujarat Kamla Beniwal passed away after prolonged illness](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/1715781442-2019-780x465.webp)
ગુજરાતના (Gujarat) પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું(Kamla Beniwal) નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલે રાજસ્થાનની( Rajasthan)ગેહલોત સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે કોંગ્રેસના(Congress) સિનિયર રાજકારણી હતા.તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેવો રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા.
કમલા બેનીવાલ 27 નવેમ્બર 2009ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ અગાઉ કેન્દ્ર સરકારે તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમને અનેક મુદ્દાઓ પર મતભેદો હતા. જેમાં લોકાયુક્તની નિમણૂકનો પણ સમાવેશ થાય છે. તેમને 6 જુલાઈ 2014ના રોજ મિઝોરમમાં રાજયપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો
કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઝુંઝુનુમાં જ થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. કમલા બેનીવાલને સ્વિમિંગ, ઘોડેસવારી અને કળાનો શોખ હતો. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: જો નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તો…: PM મોદીએ વિપક્ષ પર તાક્યું નિશાન
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા
કમલા બેનીવાલે 27 વર્ષની વયે 1954માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી રહી ચૂક્યાં છે. તે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા.