આપણું ગુજરાત

“દલિતો મરે તો ભલે મરે, અમને કોઈ ફરક નથી પડતો” ગુજરાત સરકાર પર જીગ્નેશ મેવાણીના આકરા પ્રહાર

નવી દિલ્હી: ગુજરાતમાં દલિતો અને આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચાર અને અન્યાયના મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નવી દિલ્હી સ્થિત AICC મુખ્યાલય ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, ગુજરાતના વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાત સહિત દેશભરમાં દલિતો અને આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પર આ મુદ્દે નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો.

અમરેલીમાં દલિત યુવકની હત્યાનો મુદ્દો

જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દેશભરમાં દલિતો પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમણે બિહારમાં 11 વર્ષીય દલિત બાળકી પર થયેલા બળાત્કારનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં પીડિતાને 5 કલાક સુધી હોસ્પિટલમાં બેડ નહોતો મળ્યો. ગુજરાતના સંદર્ભમાં, તેમણે અમરેલીમાં 19 વર્ષીય દલિત યુવકની જાહેરમાં થયેલી હત્યા, પાટણમાં એક દલિત વૃદ્ધને જીવતા સળગાવી દેવાની ઘટના, અને સુરેન્દ્રનગરના થાનગઢમાં દલિત યુવાનો પર AK-47 થી થયેલા ગોળીબાર જેવા ગંભીર કિસ્સાઓ રજૂ કર્યા હતા.

તેમણે સંતરામપુરમાં એક દલિત બાળકીના ગેંગરેપમાં ભાજપના નેતાઓની સંડોવણી, FIR ફાડવા અને આરોપી પોલીસકર્મીઓને હળવી સજા આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા દલિત સમાજના એક યુવકને જાહેરમાં ગાળો આપવા છતાં કોઈ કાર્યવાહી ન થવા, અને રાજકોટના ગોંડલમાં દલિત યુવકને માર મારનારા આરોપીઓના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનની હાજરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ભાજપ સરકાર પર ભેદભાવના આરોપ

મેવાણીએ આક્ષેપ કર્યો કે ઊનાની ઘટના સિવાય છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના કોઈ પણ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન કે મોટા નેતા દલિત-આદિવાસી પીડિતો સાથે ઊભા રહ્યા નથી. તેમણે આગળ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે અત્યાચારના કેસોમાં દોષિત ઠેરવવાનો દર 30-35% છે, જ્યારે ગુજરાતમાં તે માત્ર 3 થી 5% છે, જે દર્શાવે છે કે મોટાભાગના આરોપીઓ છૂટી જાય છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માં પણ OBC, દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે જાતિગત ભેદભાવ થતો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.

દલિતો મરે તો ભલે મરે, અમને….: મેવાણી

તેમણે ઉમેર્યું હતું કે અનેક કિસ્સાઓ છે જ્યાં લોકોએ પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે ફરિયાદો પર કોઈ કાર્યવાહી ન થતા આખરે તેમની હત્યા થઈ હતી. આ ઘટનાઓ ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસના ઉદાસીન વલણ તરફ ઈશારો કરે છે, જાણે કે તેમનો સંદેશો હોય કે “દલિતો મરે તો ભલે મરે, અમને કોઈ ફરક નથી પડતો.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button