12 જણની હત્યા કરનારા સિરિયલ કિલર તાંત્રિકને પકડાવનારાની કરી ધરપકડ, જાણો મામલો?

રાજકોટ: વઢવાણથી ગુજરાત પોલીસની હાથે ઝડપાયેલા અને કસ્ટડીમાં મૃત્યુ પામેલા સિરિયલ કિલર તાંત્રિકના કેસમાં હવે ચોંકાવનારી હકીકત જાણવા મળી છે. આ કેસમાં તાંત્રિકે મરતા પહેલા 12 હત્યાની કબૂલાત કરી કરી હતી, જે પૈકી રાજકોટના પરિવારની હત્યાના કેસમાં પોલીસે તાંત્રિકની ધરપકડ કરાવનારા જીગર ગોહિલની ધરપકડ કરી છે. રાજકોટની ગ્રામ્ય પોલીસે ત્રણ લોકોની હત્યાના ષડયંત્રમાં તાંત્રિકની મદદ કરવા બદલ જિગર ગોહિલ નામના શખસની ધરપકડ કરી છે.
તાંત્રિક નવલસિંહના કેસમાં ઘટસ્ફોટ
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર રીક્ષાચાલક કાદરભાઈ અલીભાઈ મુકાસમ, તેના પત્ની ફરીદાબેન તથા પુત્ર આસિકની સાત મહિના પૂર્વે પડઘરીના જંગલમાં ઝેરી કેમિકલ પીધેલી હાલતમાં મળેલી લાશ મળી હતી. એ ઘટના સામૂહિક આપઘાત નહીં, પરંતુ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ પોલીસે પકડેલા અને કસ્ટડીમાં મૃત્યુ પામનાર વઢવાણના તાંત્રિક નવલસિંહે કરી હતી. તેની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને કરવામાં આવ્યા બાદ તેમણે આરોપી જિગર ગોહિલની ધરપકડ કરી છે.

જિગર અને તાંત્રિકે સાથે મળી કરી હત્યા
આ અંગે રાજકોટ ગ્રામ્ય એસપી હિમકાર સિંહે જણાવ્યું હતું કે સરખેજ પોલીસે જીગરે તાંત્રિક નવલસિંહ સાથે મળીને આ હત્યાઓને અંજામ આપ્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે કાદરભાઈનો પરિવાર તાંત્રિક વિદ્યા માટે નવલસિંહને ઘણી વખત મળ્યો હતો અને તેઓ નવલસિંહ પર ઘણો વિશ્વાસ કરતા હતા.
દરમિયાન કાદરભાઈની પુત્રી નગ્મા અને નવલસિંહ એકબીજાની વચ્ચે ખૂબ જ નજીક આવી ગયા હતા. નગ્મા લગ્ન માટે દબાણ કરતી હતી. ત્રણ-ચાર વખત નવલસિંહે બહાનું કાઢીને નગ્માને ટાળી હતી, પરંતુ ચોથી વખત નગ્માએ આગ્રહ કરીને તાંત્રિક નવલસિંહે તેની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી વાંકાનેર પાસેની જમીનમાં દાટી દીધા હતા.
આ પણ વાંચો : મહાકુંભ માટે રાજકોટ અને મહારાષ્ટ્રમાંથી દોડાવાશે ‘ભારત ગૌરવ’ વિશેષ ટ્રેન…
હત્યાના ગુનામાં આરોપી ધરપકડ
આરોપી જિગર અને નવલસિંહે કાદરભાઈના પરિવારને થોડા દિવસો બાદ જેતપુર પાસેની દરગાહમાં બોલાવી કહ્યું હતું કે અમે ત્યાં તાંત્રિક વિધિ કરીશું, જેના કારણે નગ્મા ઘરે આવશે અને તમારી આર્થિક સ્થિતિ સુધારશે. ત્યાર બાદ જ્યારે કાદરભાઈનો પરિવાર ત્યાં પહોંચ્યો ત્યારે નવલસિંહે જિગર સાથે મળીને કાદરભાઈના પરિવારને સોડિયમ નાઈટ્રાઈટ પીવડાવીને હત્યાને અંજામ આપ્યો હતો.
હત્યાને આત્મહત્યા ખપાવવા માટે તાંત્રિક નવલસિંહે ઘટનાસ્થળે એક સુસાઇડ નોટ પણ છોડી દીધી હતી. જેમાં લખ્યું હતું કે હોસ્પિટલના વધતા ખર્ચ અને આર્થિક પરિસ્થિતિથી કંટાળીને અમે આત્મહત્યા કરી રહ્યા છીએ. પોલીસે આ ત્રણેયની હત્યાના ગુનામાં હવે જિગરની ધરપકડ કરી છે.