ભુજમાં દેશની સૌથી મોટી અવકાશ વેધશાળા બની આકર્ષણનું કેન્દ્રઃ મહિનામાં 1500થી વધુ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદ:કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં રાજ્ય સરકાર દ્વારા ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 25 ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ નિમિત્તે આ વેધશાળાના ઉદ્ઘાટન થયાના માત્ર 30 દિવસમાં 1500થી વધુ લોકોએ આ વેધશાળાની મુલાકાત લીધી છે. આ વેધશાળા ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ભુજિયા ડુંગરની ટોચ પર 10 એકરમાં છે સેન્ટર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગ હેઠળ ગુજકોસ્ટ દ્વારા ભુજમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. ભુજિયા ડુંગરની ટોચ પર 10 એકરમાં ફેલાયેલું આ સેન્ટર આકર્ષક જગ્યાને કારણે શિક્ષણ સાથે મનોરંજન પણ પુરૂ પાડે છે. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુજમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયું ત્યારથી અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી હતી.
24 ઇંચ ટેલિસ્કોપથી સજ્જ
ભુજમાં નવનિર્મિત વેધશાળા અત્યાધુનિક 24 ઇંચ ટેલિસ્કોપથી સજ્જ છે, જે મુલાકાતીઓને નિહારિકાઓ, ગ્રહો અને દૂરના તારાવિશ્વો જેવી અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક પૂરી પાડે છે. મનોરંજન સાથે શિક્ષણના અનોખા અભિગમ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર, ભુજ વિજ્ઞાન ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવામાં, લોકોને ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવામાં અને બ્રહ્માંડના રહસ્યો વિશે જિજ્ઞાસા જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
Also read: આદિત્ય-૧ એ પ્રથમ સેલ્ફી લીધી, પૃથ્વી અને ચંદ્રની પણ તસવીર લીધી
ક્યારે લઈ શકો છો મુલાકાત?
મુલાકાતીઓ સાંજે 6 થી 9 વાગ્યા સુધી અવકાશ વેધશાળાની મુલાકાત લઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે રૂ. 20 અને અન્ય મુલાકાતીઓ માટે રૂ. 30 પ્રવેશ ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ વેધશાળા ખગોળશાસ્ત્ર આધારિત શૈક્ષણિક કાર્યક્રમો, ઇન્ટરેક્ટિવ સત્રો અને શાળાના અભ્યાસક્રમ સાથે સુસંગત મોડ્યુલ્સ પ્રદાન કરે છે.