કચ્છના આડેસરમાં પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી, સગીરાનું રસ્તામાં જ મોત, ઘટનાથી પંથકમાં હડકંપ
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/IMG-20240511-WA0191-780x470.jpg)
કચ્છ: કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલા આડેસર ગામે પ્રેમી પંખીડાએ સજોડે ઝેર પી લેતાં પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. પ્રેમી યુગલની આત્મહત્યાથી સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. જ્યારે પ્રેમીને સારવાર માટે રાપર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બન્ને પ્રેમી પંખીડા સજોડે ઝેરી દવા પી લીધા બાદમાં ઘરે પહોંચતાં યુવકના પરિવારજનોએ બંનેને હોસ્પિટલના બદલે મંદિરે લઈ જતાં હતાં, ત્યારે રસ્તામાં જ સગીરાએ દમ તોડી દેતાં યુવકના પરિવારજનો મૂકીને જતાં રહ્યા હતાં. આ અંગે યુવકના સાસરીયાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીરાના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/IMG-20240511-WA0190.jpg)
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે રહેતા પરિણીત યુવક ભરત રણછોડ આદ્રોજીયા સાથે કોઈ પ્રસંગમાં આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ દરમિયાન ગત તા.8 મેનાં રોજ યુવક ભરત આદ્રોજીયા જામનગરથી સગીરાનું અપહરણ કરી ગયો હતો અને 10 મેના રોજ બન્ને આડેસર ગામે તેના ઘરે ઝેરી દવા પીધેલી હાલતમાં પહોંચ્યા હતાં.
તેમના પરિવારજનોએ બન્નેને સૂરજબારીના પુલ પાસે પલાસ ગામે માતાજીના મંદિરે ચોકી બંધાવવા માટે લઈ આવતાં હતાં, ત્યારે રસ્તામાં સગીરાનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનો સગીરાના મૃતદેહને યુવક ભરત આદ્રોજીયાના સસરા જે મોરબીના મકનસર ગામની સીમમાં રહેતાં હોય તેના ઝૂંપડે મૂકી બાદમાં યુવકને લઈ પલાસ ગામે મંદિરે લઈ ગયા હતાં. જ્યાં ચોકી બંધાવ્યા બાદ તેને રાપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
યુવકના સસરા ધનજીભાઈ ખેતાભાઈ વાઘેલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.જોગેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સગીરાના મૃતદેહનો કબજો લઈ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સીક પી.એમ.અર્થે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતાં સગીરાના પરિવારજનો પણ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. મૃતક સગીરા એક ભાઈ બે બહેનમાં નાની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ યુવક ભરત આદ્રોજીયા પરિણીત હોવાનું અને તેની પત્નીને હાલમાં સારા દિવસો ચાલતાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે ફોરેન્સિક રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.