Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુસ્લિમને ટિકિટ ના ફાળવી, કુલ 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં | મુંબઈ સમાચાર

Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસે એક પણ મુસ્લિમને ટિકિટ ના ફાળવી, કુલ 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) 25 લોકસભા બેઠક માટે 7 મેના રોજ મતદાન(Voting) યોજાશે. જેના પગલે હાલ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક પક્ષ જાતિના નામે તો કેટલાક ધર્મના નામે મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) હોમ સ્ટેટ ગુજરાતમાં 35 મુસ્લિમ (Muslim)ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જો કે રસપ્રદ વાત એ છે કે આ વખતે કોંગ્રેસે પોતાની પરંપરા તોડી આ સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ આપી નથી.

કોંગ્રેસે કોઇ પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી

આ સમગ્ર મામલે કોંગ્રેસે દલીલ કરી કે ભરૂચ લોકસભા સીટ જ્યાંથી કોંગ્રેસ દર વખતે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી સાથે બેઠક વહેંચણીના કારણે આ બેઠક આપને ફાળવવામાં આવી છે. જ્યારે આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય પક્ષો પૈકી માત્ર બહુજન સમાજ પાર્ટી (BSP) એ ગાંધીનગરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. BSPએ 2019ની લોકસભા ચૂંટણીમાં પંચમહાલમાંથી મુસ્લિમ ઉમેદવારને પણ મેદાનમાં ઉતાર્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં

ચૂંટણી પંચના આંકડા અનુસાર, આ વખતે ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 2019માં 43 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા. મોટાભાગના મુસ્લિમ ઉમેદવારો કાં તો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અથવા ઓછા જાણીતા પક્ષો દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના લઘુમતી વિભાગના પ્રમુખ વજીરખાન પઠાણે જણાવ્યું હતું કે, ‘ કોંગ્રેસ પક્ષ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયમાંથી ઓછામાં ઓછો એક ઉમેદવાર ઊભો રાખતો હતો. પરંતુ આ વખતે તે શક્ય નહોતું કારણ કે આ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી દેવામાં આવી છે.

મુસ્લિમ ઉમેદવારને અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાનો કોઈ અવકાશ નથી

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતની એક સીટ પરથી ઉમેદવાર ઉતારવાની ઓફર કરી હતી પરંતુ મુસ્લિમ સમુદાયના સભ્યોએ ના પાડી દીધી હતી કારણ કે જીતની શક્યતા ઓછી હતી. પઠાણે કહ્યું કે મુસ્લિમ ઉમેદવારને અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાનો કોઈ અવકાશ નથી. અમદાવાદ પશ્ચિમ અને કચ્છમાં મુસ્લિમ વસ્તી ધરાવતી બે બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ભૂતકાળમાં ભરૂચ સિવાય નવસારી અને જૂની અમદાવાદ બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા

Back to top button