ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં : દ્વારકામાં સરેરાશ કરતાં 1422% વધુ વરસાદ
![Highest rainfall in India in these three districts of Gujarat: Dwarka 1422% more than average rainfall](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/rain-in-gujarat.webp)
ગાંધીનગર: સમગ્ર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થતિના લીધે જનજીવનને ભારે અસર પહોંચી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ભારતમાં જુલાઇમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં પડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ વરસાદ કરતાં 1422 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ સ્થિતિમાં NDRF અને SDRFની ટીમ અત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવી રહી છે. તેમના દ્વારા ઋતુમાં કુલ 14,552 લોકોનું સ્થળાંતર અને 1617 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધીમાં ગુજરાતમાં લાંબાગાળાના સરેરાશની સરખામણીમાં 23 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 67 ટકા વધુ વરસાદ પડ્યો છે, જો કે બીજી બાજુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની ટકાવારીમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતના ચાર જિલ્લાઓમાં આખા ભારતની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 1422%, પોરબંદરમાં 1101%, જુનાગઢમાં 712% જ્યારે જામનગરમાં 512% જેટલો વરસાદ પડવાથી ખૂબ જ ચર્ચામાં છે.
NDRF અને SDRFની ટીમ અત્યારે દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1617 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે આ ઋતુમાં કુલ 14,552 લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ ખેંચાયો, આટલા લાખ હેકટર વાવેતર ઘટ્યું
ભારે વરસાદની પરિસ્થિતિને લીધે રાજ્યના અનેક ભાગોમાં જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા વિસ્તારો છે. આ પરિસ્થિતીમાં સુરત જિલ્લામાંથી 3707, નવસારી જિલ્લામાંથી 2978, વડોદરામાં 1877, પોરબંદરમાં 1540, જુનાગઢમાં 1364, ભરૂચમાં 1017, તાપીમાં 918, આણંદમાં 604, દેવભૂમિ દ્વારકામાં 304, વલસાડમાં 150, પંચમહાલમાં 56 જ્યારે નર્મદામાં 17 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને આજે કુલ 113 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જો કે સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 1617 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આણંદમાંથી 540, સુરતમાં 353, વડોદરામાં 262, જામનગરમાં 151, પોરબંદરમાં 121, દ્વારકામાં 59, ભરૂચમાં 11, કચ્છમાં 7 અને નવસારીમાં 7 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.