હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ મુદ્દે આરોગ્ય પ્રધાને આપ્યું મહત્ત્વનું નિવેદન, શું કહ્યું જાણો?

અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ અંગે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ એક મોટું નિવેદન આપ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા હાર્ટ એટેકના કેસના સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકોને પહેલા કોરોના થયો હોય તેમણે સખત પરિશ્રમ ન કરવો જોઇએ.
ભાવનગર આવેલા કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને હાર્ટ એટેક સામે એલર્ટ રહેવાનું સૂચન કર્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે જે લોકોને કોવિડની ગંભીર બિમારી થઇ હોય તેમણે ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ભારે કસરત અને પરિશ્રમ ન કરવો જોઇએ.
ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. નવરાત્રિમાં પણ ગરબા રમતા સમયે ઓચિંતા જ ખેલૈયાઓ હાર્ટ એટેક આવવાને પગલે મોતને ભેટ્યા હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ત્યારે આઇસીએમઆર દ્વારા પણ આ મામલે રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં જે લોકોને પહેલા કોરોના થયો હોય તેમને સખત પરિશ્રમ અને જીમમાં જઇને કસરત કરવી, દોડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ ન કરવી તેવું સૂચન કરવામાં આવ્યું હતું.