ગુજરાતમાં ઓપરેશન સિંદૂર વિરોધી પોસ્ટ કરનારા સામે સરકારની મોટી કાર્યવાહી, 14 સામે એફઆઈઆર…
રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યાં

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની કેટલાક લોકો દ્વારા ટીકા કરવામાં આવી હતી. જેથી ઓપરેશન સિંદૂર મુદ્દે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી (Anti-National), નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે (Gujarat Police) ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.
રાષ્ટ્રવિરોધી તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહીના આદેશ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા.

ઓપરેશન સિંદૂર મુદ્દે કરી હતી રાષ્ટ્રવિરોધી પોસ્ટ
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પોલીસે કામગીરી હાથ ધરી દીધી છે.
દેશ વિરોધી પોસ્ટ કરનાર ખેડા જિલ્લાના 2, ભૂજના 2 ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લાના એક-એક કુલ 14 વ્યક્તિ સામે FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હજી પણ ગુજરાત પોલીસ સતત મોનિટર કરી રહી છે, જેણે પણ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હશે તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવી શકે છે.
આપણ વાંચો: વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ બદલ કચ્છમાં એક સામે ગુનો