આપણું ગુજરાત

ગુજરાતમા સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી અમલ કરાશે…

ગાંધીનગર : ગુજરાતમાં મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ 10 મી એપ્રિલથી અમલમાં આવશે.

મહત્તમ રૂપિયા 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે
રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે. વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂપિયા 200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. તેમજ રૂપિયા 1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂપિયા 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

75,00,000 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે
જ્યારે રૂપિયા 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂપિયા 8,00,000 ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂપિયા 15,00,000 કરવામાં આવી છે. પરંતુ એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂપિયા 75,00,000 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

જ્યારે વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂપિયા 5000ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.

મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી
સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1 ટકાની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂપિયા 500 અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂપિયા 1000ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.

નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958 ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.

વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

આપણ વાંચો: ક્યાં છે હાઉસિંગ સોસાયટીના નિયમો? રહેણાંક વિસ્તારોમાં ચાલે 3500થી વધુ ધંધાકીય પ્રવૃત્તિ છતાં તંત્ર મૌન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button