ગુજરાતમા પલટાશે હવામાન, અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના જિલ્લામાં માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણને પગલે હવામાન વિભાગ દ્વારા રવિવાર સવાર સુધીમાં અમદાવાદ, આણંદ, સુરત, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ 15થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરી હતી. વાતાવરણના પલટાએ કેરી ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠું થવાની સ્થિતિમાં કેરીના પાકને નુકસાન થવાની આશંકા છે.
બોટાદ જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સવાર સુધીની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા
રાજ્યમાં ઠંડા પવનો અને વાદળછાયા વાતવરણના કારણે ગરમીમાં આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. તેમજ 15થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
રાજકોટમાં હીટવેવની સંભાવનાના જોતા યલો એલર્ટ
આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા 15થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તરગુજરાતનાં અમુક ભાગોમાં ઉષ્ણ લહેરો ફૂંકાઈ શકે છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જ્યારે 16 અને 17 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં હીટવેવની સંભાવનાના જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું.