ગુજરાતમાં Statue Of Unity ને સાંકળતા હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે 381.86 કરોડ મંજૂર

અમદાવાદઃ ગુજરાત સરકારે વડોદરાને સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)સાથે જોડતા હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણ માટે 381.86 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આ ક્ષેત્રના લોકપ્રિય પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો વચ્ચેના સંપર્કને વધુ સરળ બનાવવાનો છે. આ અંગેની જાહેરાત ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા આયોજિત ભૂમિપૂજન સમારોહ દરમિયાન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Tourism: ટૂંક જ સમયમાં ઓમકારેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ થવાના સંકેત…
ઓવરબ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે
માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા આ પ્રોજેક્ટમાં રતનપુર, કેલનપુર અને ડભોઈ-શિનોઈ ચાર રસ્તા પર ત્રણ એલિવેટેડ ઓવરબ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે. તે ઉપરાંત થુવાવી પાસે એક અન્ડરપાસ પણ તૈયાર કરાશે. વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓને આ પ્રોજેક્ટથી સમય, પૈસા અને પેટ્રોલની બચત થશે.
4 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યનિટીની મુલાકાત લીધી
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી હાઈ સ્પીડ કોરિડોર સહિત આ ક્ષેત્રમાં રિંગ રોડ રૂપે વધુ એક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ધરમપુરી અને ડભોઈ તરફ થઈને પસાર થશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે દેશ વિદેશના 4 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યનિટીની મુલાકાત લીધી હતી