ફટાફટ કરો બુકિંગઃ દિવાળી સ્પેશિયલ બસ લઈને આવી છે એસટી
અમદાવાદઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. સારા વરસાદ અને સારી સિઝનને લીધે તહેવારોનો ધમધમાટ ધીમે ધીમે બજારોમાં જોવા મળે છે. દિવાળી સમયે પોતાના ગામ જવાની ઈચ્છા દરેકની હોય છે ત્યારે રેલવે કે બસોમાં ખૂબજ ભીડ જોવા મળે છે અને આનો ગેરફાયદો ખાનગી ટ્રાવેલ્સવાળા ભરપૂર ઉઠાવે છે. જોકે ગુજરાત એસટીએ દિવાળી સમયે ખાસ બસો દોડાવવાની જાહેરાત કરી છે. તો ફટાફટ બુકિંગ કરાવી લો નહીંતર હાઉસફૂલ થતા વાર નહીં લાગે.
એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે મુસાફરોના મિજાજ જોતા આ વર્ષે દિવાળીના તહેવારમાં ભારે ધસારો થવાની શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા 26મીથી 30મી ઑક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવામાં આવશે. જ્યારે દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર- કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતન જતાં લોકો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, છેવાડાના માનવી સુધી એસ. ટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહનની સુવિધા વધારવામાં આવ્યો છે.
દિવાળીના દિવસોમાં સુરતમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતાં હોય છે. જેને ધ્યાનમાં લઈને તારીખ 26મીથી 30મી ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200થી વધુ બસો દોડાવવામાં આવશે. આ સાથે માગ મુજબ વધુ બસો ફાળવવા પણ તંત્ર તૈયાર છે.
મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે ઉધના બસ સ્ટેશનથી વધારાની બસ નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. અત્યારથી જ એકસ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલી સુરત સિટી ડેપોથી કરી શકાશે. આ સિવાય એડવાન્સ બુકિંગ માટે વેબસાઈડ ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરી શકાશે. આ સિવાય ટ્રાફિકને ધ્યાનમાં રાખી ધ્યાને લઈ 31મી ઑક્ટોબરથી 6ઠ્ઠી નવેમ્બર સુધી વડોદરા, અમદાવાદની વધારાની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટોપથી ઉપડશે, તેમ એસટી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.