ગુજરાતમાં સાયન્સના વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનું આકર્ષણ ઘટ્યુંઃ બાયોલોજીનું વધ્યું…

અમદાવાદઃ ગુજરાતમાં સાયન્સના વિદ્યાર્થીઓમાં એક નવી પેટર્ન જોવા મળી છે. ધો. 12માં મેથ્સના બદલે બાયોલોજીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. જેના કારણે એન્જિનયરિંગ કોર્સ માટે ઉમેદવારોની ટકાવારી 2015માં 55 ટકા હતી તે ઘટીને 2025માં માત્ર 30 ટકા થઈ હતી. આ સાયન્સના વિદ્યાર્થીઓમાં કારકિર્દી પસંદગીમાં આવેલા પરિવર્તનનો સંકેત આપે છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એસીપીસી)ના આંકડાઓ મુજબ, 2015માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 1,16,363 વિદ્યાર્થીઓમાંના 55 ટકાએ ગણિત સાથે ગ્રુપ એ પસંદ કર્યું હતું. આ ટકાવારી 2025માં 1,12,408 વિદ્યાર્થીઓમાં માત્ર 30 ટકા હતી.
બીજા બોર્ડોમાં ગણિતના પ્રવેશમાં વધારો નોંધાયો હતો. સીબીએસઈ બોર્ડમાં 4.5 ટકાથી વધીને 8.59 ટકા અને આઈસીએસઈ બોર્ડમાં 0.45 ટકાથી વધીને 0.9 ટકા થયો હતો.
બાયોલોજી વિષય માટેની સ્થિતિ બિલકુલ વિપરીત છે. ગુજરાત બોર્ડના ગ્રુપ બી (બાયોલોજી)ના વિદ્યાર્થીઓની સંખ્યા 2015માં 37.42 ટકા હતી, જે 2025માં વધીને 52.83 ટકા થઈ હતી. સીબીએસઈ બોર્ડમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
આ પરિવર્તન એન્જિનિયરિંગ ક્ષેત્ર પ્રત્યે વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યો હોવાનું દર્શાવે છે. એસીપીસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ સારા પગારની નોકરી મળતી નથી તેવી ધારણા છે. જોકે આવું નથી. જો વિદ્યાર્થીઓ સારી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ લે તો કેમ્પસ પ્લેસમેન્ટમાં જ આકર્ષક પેકેજ પણ મળે છે.
ડિગ્રી એન્જિનિયરિંગને બદલે હવે વિદ્યાર્થીઓ બીબીએ, બીસીએ જેવા કોર્સ તરફ પણ ધ્યાન આપી રહ્યા છે. આ ઉપરાંત હાલ ઝડપથી નોકરી મળી જાય તે માટે વિદ્યાર્થીઓમાં મેડિકલ અને પેરામેડિકલ કોર્સનું પ્રમાણ વધ્યું છે, જે પણ એન્જિનિયરિંગમાં રસ ઘટી રહ્યો હોવાનું એક કારણ છે.
આ ઉપરાંત એસીપીસીના સૂત્રોએ જણાવ્યું કે, ઘણા વિદ્યાર્થીઓ ગણિતના ભયના કારણે ગ્રુપ એ પસંદ કરતા નથી. જોકે કેટલાક વિદ્યાર્થીઓને બાદમાં તેમની ભૂલ સમજાતી હોય છે. દર વર્ષે ઓછામાં ઓછા 100 વિદ્યાર્થીઓ પહેલા ગ્રુપ બી પસંદ કરે છે પરંતુ પસંદગીના કોર્સમાં પ્રવેશ ન મળતાં આગલા વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ લઈ શકાય તે માટે ધો.12માં મેથ્સ સાથે ફરી પરીક્ષા આપે છે.
આપણ વાંચો : ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ