રેવન્યુ તલાટી ભરતી: 2389 જગ્યાઓ સામે આવી 4.86 લાખથી વધુ અરજીઓ, આજે છેલ્લો દિવસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં રેવન્યુ તલાટી વર્ગ-૩ ની ૨૩૮૯ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તે માટેની અરજી પ્રક્રિયાનો 10 જૂનના રોજ રાત્રે 11:59 કલાકે છેલ્લો દિવસ છે. સ્નાતક કક્ષાની શૈક્ષણિક લાયકાત પર કરવામાં આવનારી આ ભરતીમાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે.
મળતી વિગતો અનુસાર, ૨૩૮૯ જગ્યાઓ માટે અરજી કરવાના છેલ્લા દિવસના બપોર સુધીમાં કુલ 4.86 લાખથી વધુ અરજીઓ આવી ગઈ છે, જેમાંથી 3.84 લાખ અરજીઓ કન્ફર્મ થઈ ચૂકી છે. આ ઉપરાંત, 3.20 લાખ ઉમેદવારોએ પરીક્ષા ફી પણ ભરી દીધી છે. આધારભૂત સ્ત્રોતના જણાવ્યા અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળ, આ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા જુલાઈ મહિનામાં યોજી શકે છે. ઉલ્લેખનીય છે કે 2389 જગ્યાઓ સામે પાંચ લાખ જેટલી અરજીઓ આવી શકે છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં રોજગારીની જરૂરિયાતવાળા શિક્ષિત યુવાનોની સ્થિતિ કેવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની રેવન્યુ તલાટીની 2389 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની ૨૩૦૦ જેટલી જગ્યાઓ પરની ભરતીને અંગે થોડા દિવસ પૂર્વે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક નોટિફિકેશન પ્રકાશિત કરીને જણાવ્યું હતું.
200 ગુણની પ્રાથમિક પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળે રેવન્યુ તલાટીની પરીક્ષાની અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 200 ગુણની પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત) લેવામાં આવશે, જેના માટે ૩ કલાકનો સમય ફાળવવામાં આવશે. આ પરીક્ષામાં વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. ગુજરાતી અને અંગ્રેજી દરેક વિષય માટે ૨૦ ગુણ નિર્ધારિત કરાયા છે. રાજ્ય વ્યવસ્થા-જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, ઇતિહાસ અને વારસો દરેક માટે 30 ગુણ રહેશે. આ ઉપરાંત, એન્વાયર્નમેન્ટ, સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ 30 ગુણ ધરાવશે, જ્યારે કરન્ટ અફેર્સ પણ 30 ગુણનું રહેશે. મેથ્સ અને રીઝનિંગ માટે સૌથી વધુ, 40 ગુણ ફાળવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે રેવન્યુ તલાટીની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે. આ પોસ્ટ માટે સ્નાતકને શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે, જે અગાઉ 12 પાસ પર લેવામાં આવતી હતી. તે ઉપરાંત બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. 200 ગુણની પ્રાથમિક પરીક્ષા બાદ 350 ગુણનું મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.