ગુજરાતમાં 97 કેન્દ્રો પરથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો પ્રારંભ કરાશે…

અમદાવાદઃ ગુજરાતમાં 9 નવેમ્બર રવિવારથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો આરંભ થશે. શરૂઆતમાં, રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકાર ખેડૂતો પાસેથી 15 હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
આ ખરીદી પ્રક્રિયા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની એક મહત્વની પહેલ છે. આ 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી રાજ્યના વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થવાની હતી, પરંતુ વરસાદની આગાહીના પગલે ખરીદી મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર ખરીદી પ્રક્રિયા પર કૃષિ વિભાગની ચાંપતી નજર
ટેકાના ભાવની ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખરીદી કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ સીધું રાજ્યના કૃષિ વિભાગમાં કરવામાં આવશે. એટલે કે, સમગ્ર ખરીદી પ્રક્રિયા પર કૃષિ વિભાગની ચાંપતી નજર રહેશે.
આ ઉપરાંત, ખરીદી કેન્દ્રો પરના વહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાના અધિકારીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આ નિર્ણય દ્વારા સરકાર ખરીદી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની શક્યતાઓને ન્યૂનતમ કરવા માંગે છે. આ વ્યવસ્થા દ્વારા સરકાર એ સંદેશ આપવા માંગે છે કે ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયામાં કોઈ શરતચૂક કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો…‘જગતના તાત’ની હિંમતને સલામ! માવઠાએ બગાડ્યું, પણ ખેડૂતોએ હાર ન માની; આ જિલ્લામાં વાવેતરની નવી શરૂઆત…



