આપણું ગુજરાત

ગુજરાત પોલીસ ભરતી: PSI અને લોકરક્ષક શારીરિક કસોટીની તારીખ જાહેર, આજથી ડાઉનલોડ કરો કોલ લેટર

ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે ઉમેદવારોની શારીરિક કસોટી આગામી ૨૧ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થવા જઈ રહી છે. આ કસોટી માટેના કોલલેટર આજે બપોરે બે વાગ્યાથી ઓજસ (Ojas)ની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

તારીખ બદલવા માટે આટલું કરવું પડશે

આ સાથે જ ભરતી બોર્ડે શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ખાસ જોગવાઈઓ જાહેર કરી છે. જે ઉમેદવારોને પોતાના અથવા સગા ભાઈ-બહેનના લગ્ન હોય, અન્ય કોઈ સરકારી કે કોલેજની પરીક્ષા હોય, પરિવારમાં નજીકના સભ્યનું અવસાન થયું હોય અથવા ગંભીર બીમારી હોય તેવા કિસ્સામાં જ તારીખ બદલવા માટે અરજી કરી શકાશે.
આ માટે ઉમેદવારે રૂબરૂમાં ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત પોલીસ બોર્ડની કચેરીએ જરૂરી પુરાવા અને કોલલેટરની નકલ સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. ખાસ નોંધનીય છે કે, કસોટી શરૂ થવાના ૩ દિવસ પહેલા મળેલી અરજીઓ જ ગ્રાહ્ય રાખવામાં આવશે.

પહેલા PSI કે કોન્સ્ટેબલ માટે યોજાશે શારીરિક કસોટી?

કસોટીના સમયપત્રક મુજબ લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે માટે સૌથી પહેલા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભરનારા તેમ જ ફક્ત PSI કેડરના પુરૂષ ઉમેદવારોની કસોટી ૨૧ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે આ પ્રક્રિયા ૨૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી ચાલશે.

ફક્ત લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન અલગ-અલગ તારીખોએ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. માજી સૈનિકો માટે ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ કસોટી નક્કી કરવામાં આવી છે, જેમાં તારીખ ફેરફારની કોઈ અવકાશ રહેશે નહીં.

તારીખ બદલવા અંગેની મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોએ જૂના કોલલેટર સાથે જ નવી ફાળવેલી તારીખે હાજર રહેવાનું રહેશે, કોઈ નવો કોલલેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં. જો કોઈ ઉમેદવારની અરજી નામંજૂર થાય, તો તેમણે મૂળ કોલ-લેટરમાં દર્શાવેલ તારીખે જ હાજર રહેવું પડશે. કસોટીની નિર્ધારિત તારીખ વીતી ગયા બાદ કોઈ પણ સંજોગોમાં ફેરફારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button