Gujarat માં 30 જાન્યુઆરી શહીદ દિને બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે 30 જાન્યુઆરી શહીદ દિવસે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા વિશેષ આયોજન કર્યું છે. જેમાં શહીદ દિને સવારે 11 વાગે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે. જેમાં સરકારે રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા લોકોને અપીલ કરી છે.
બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે
આ ઉપરાંત 30મી જાન્યુઆરીએ જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10. 59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થાય એટલે 11.02 થી 11.03 કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.
Also read: PM Modiએ સંસદમાં જઇને શહીદોને શ્રદ્ધાંજલિ આર્પી
જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે 11:00 કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા ગુજરાતના સરકારે સૌને અનુરોધ કર્યો છે.
પ્રસારણ ક્ષેત્રના યુનિટોને ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું આયોજન કરવા સૂચના
આ ઉપરાંત પ્રસારણ ક્ષેત્રના યુનિટો દ્વારા ભારતીય સ્વતંત્ર્યતા સંગ્રામમાં શહીદ વીરોની ભૂમિકા અને રાષ્ટ્રિય એકતા જેવા વિષયો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મ કે વૃત્ત ચિત્રોનું આયોજન કરવાનું રહેશે. રાજયના વિવિધ વાણિજય અને ઉદ્યોગ સંઘ પણ સન્માન સાથે શહીદ દિન મનાવે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.