પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા | મુંબઈ સમાચાર

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત રાજ્ય ટોચના સ્થાન પર

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (પીવીટીજી) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ 2025 માટે ટોચનું રાજ્ય બન્યું હતું. પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેંકિંગ જાહેર કરવામાં આવે છે, જેમાં જુલાઈ મહિનામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે.

શું છે આ યોજનાનો હેતુ અને ગુજરાતમાં કેટલા છે નબળા આદિજાતિ જૂથો

ભારતના 18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા 75 પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2023ના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનનો પ્રારંભ કર્યો હતો. આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમયમર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથોને આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, પાણી, વીજળી, આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે. ગુજરાતમાં આવા 5 ખાસ નબળા આદિજાતિ જૂથો વસે છે, જેમાં કાથોડી, કોટવાળિયા, પઢાર, સિદ્દી અને કોલઘા જૂથોનો સમાવેશ થાય છે. આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

આ પણ વાંચો: મોદીએ એક લાખ લોકોને પીએમ-જનમનનાં લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કર્યો

પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે, જેમાં આવાસ, રોડ-રસ્તાની કનેક્ટિવિટી, પાઇપ મારફતે પાણીનો સપ્લાય, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ, નવીન આંગણવાડીઓનું નિર્માણ, વીજળીકરણ, મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન, વન ધન વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ મિશન હેઠળ આ સમુદાયના લોકોના ઘર-પરિવારોનો સર્વે કરીને કોને કઈ સુવિધાની જરૂર છે, અને ક્યાં કેટલો ગેપ રહેલો છે, તે શોધીને તે મુજબ સુવિધાઓના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે, અને તે મુજબ તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાતમાં 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા

ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ પીવીટીજી સમુદાયો માટે દ્વારા 12,489 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ મિશન હેઠળ 17 રોડ-રસ્તાઓની કનેક્ટિવિટી મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2803 ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી, અને આ તમામ એટલે કે 100 ટકા ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. પીએમ જનમન મિશન હેઠળ, પીવીટીજી સમુદાયોની મહિલાઓ માટે આગામી સમયમાં 67 આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી 13 હોસ્ટેલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: પીએમ મોદીએ લોકો પાસે સરકાર અને સાંસદોના રિપોર્ટ માંગ્યા

આ મિશન હેઠળ, વીજળી નહોતી પહોંચતી એવા 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી હતી, તેમજ 37 મોબાઈલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, કૌશલ્ય તાલીમ, પોષણ, આરોગ્ય સેવાઓ, પુખ્ત શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે PVTG સમુદાય માટે 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવાની મંજૂરી આ મિશન હેઠળ આપવામાં આવી છે.

પીએમ જનમન મિશન માટે ગુજરાતે હાથ ધર્યું IEC કેમ્પેઇન

ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા પીએમ જનમન મિશન હેઠળ IEC કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું. આ કેમ્પેઇન દરમિયાન 920 પીએમ જનમન સેલ્ફી પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા, 473 સ્થળોએ વૉલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા, 1446 જેટલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા અને 32 હજારથી વધુ પેમ્ફલેટ્સ વહેંચવામાં આવ્યા. આ IEC કેમ્પેઇન હેઠળના કાર્યક્રમો દરમિયાન વિવિધ લાભાર્થી કેન્દ્રિત યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા. જેમાં, 23,374 લાભાર્થીઓને આધાર કાર્ડ આપવામાં આવ્યા, 12,229 લાભાર્થીઓને પીએમ જન ધન ખાતા ખોલવામાં આવ્યા, 466 લાભાર્થીઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ મળ્યો, 2998 લાભાર્થીઓને કાસ્ટ સર્ટિફિકેટ, 14,827 લાભાર્થીઓને રાશન કાર્ડ, 1051 લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ, 1 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા તેમજ 4048 લાભાર્થીઓને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button