ગુજરાતમાં કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી કેવડિયા સુધી 11 દિવસની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે…

ગાંધીનગર : દેશમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની બે વર્ષ સુધી ધામધૂમથી ઉજવણીના ભાગરૂપે, ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે, જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશો આપશે.
26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી પદયાત્રા
નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે વિગતો આપતા કહ્યું કે, સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી આ રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. 11 દિવસની આ પદયાત્રા 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. તે જ રીતે સૌને એકજૂથ થઈને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા માટેની પ્રેરણા છે.

વિશેષ ‘સરદાર ગાથા’નું આયોજન
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, આ ઐતિહાસિક યાત્રામાં દેશના વિવિધ રાજ્યો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાંથી યુવાનો જોડાશે. યાત્રાના પ્રત્યેક દિવસે અંદાજે 10 થી 15 હજાર લોકો જોડાઈને સરદાર સાહેબના જીવનના આદર્શો અને સત્કાર્યોથી પ્રેરણા મેળવશે. 11 દિવસની પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રત્યેક દિવસે એક વિશેષ ‘સરદાર ગાથા’નું આયોજન કરવામાં આવશે.



