ગુજરાતમાં વીજળી પડતા પાંચના મોત, 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

અમદાવાદ : ગુજરાતમાં શનિવારથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં શનિવારના સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજયના વીજળી પડવાના લીધે પાંચ લોકોના મોત નોંધાયા છે. જ્યારે હવામાન વિભાગે આજે રાજયના 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં વિવિધ સ્થળે વીજળી પડતા પાંચના મોત
શનિવારે વીજળી પડવાની પણ ઘટના બની હતી. જેમાં રાજકોટમાં વીજળી પડતા એક વ્યક્તિનું તેમજ 14 ઘેટા-બકરાના મોત થયાં હતા. દાહોદમાં પિતા-પુત્રનું અને બે બળદનું મોત થયું હતું. જ્યારે માંગરોળમાં મહિલાનું મોત થયું હતું. તેમજ કાલોલ તાલુકાના મોકડ ગામે આકાશી વીજળી પડતાં સરપંચનું મોત નિપજ્યું હતું. જ્યારે દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું મોત થયું છે. રાજકોટના રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં વીજળી પડવાથી દલુભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું હતું.
15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યના અનેક ભાગોમાં આજે પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.
શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ રાજકોટમાં ધોધમાર વરસાદ
ગતરોજ રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ગોંડલ, ચોટીલા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગોંડલમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો તો રાજકોટમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.