ગુજરાત સરકારનો મોટો નિર્ણય: મંત્રીઓ સાથે પરામર્શ માટે ૧૩ સ્થાયી સમિતિઓની રચના

ગાંધીનગરઃ રાજયમાં પ્રધાનોને પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર-વિનિમય કરવા મુખ્ય પ્રધાન સહિત કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રીઓની ૧૩ સ્થાયી પરામર્શ સમિતિઓની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સમિતિઓમાં રાજયના સંસદ સભ્યોને આમંત્રિત સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે.
પ્રથમ સમિતિમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ૧૬ પ્રધાન-ધારાસભ્યો તેમજ આમંત્રિત સભ્ય તરીકે ત્રણ સાંસદ, બીજી સમિતિમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત ૧૮ પ્રધાન-ધારાસભ્યઓ તથા ત્રણ સાંસદ, ત્રીજી સમિતિમાં નાણા પ્રધાન કનુ દેસાઈ સહિત ૧૫ પ્રધાન-ધારાસભ્યઓ સહિત ત્રણ સાંસદ, ચોથી સમિતિમાં કૃષિ પ્રધાન જીતુ વાઘાણી સહિત ૧૬ પ્રધાન-ધારાસભ્યો સહિત ત્રણ સાંસદ, પાંચમી સમિતિમાં ઊર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સહિત ૧૫ પ્રધાન-ધારાસભ્યો અને ત્રણ સાંસદ, છઠ્ઠી સમિતિમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ પ્રધાન કુંવરજી બાવળિયા સહિત ૧૫ પ્રધાન-ધારાસભ્યો અને બે સાંસદ તેમજ સાતમી સમિતિમાં આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સહિત ૧૫ પ્રધાન-ધારાસભ્યો અને બે સાંસદનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત આઠમી સમિતિમાં વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા સહિત ૧૪ પ્રધાન-ધારાસભ્યો અને બે સાંસદ, નવમી સમિતિમાં સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન ડૉ. પ્રદ્યુમ્ન વાજા સહિત ૧૬ પ્રધાન-ધારાસભ્યો તથા બે સાંસદ, ૧૦મી સમિતિમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રમણ સોલંકી સહિત ૧૪ પ્રધાન-ધારાસભ્યો અને બે સાંસદો, ૧૧મી સમિતિમાં જળ સંપત્તિ રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ પટેલ સહિત ૧૨ ધારાસભ્યો અને બે સાંસદો, ૧૨મી સમિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયા સહિત ૧૨ ધારાસભ્યો અને બે સાંસદો તેમજ અંતિમ ૧૩મી સમિતિમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય પ્રધાન ડૉ. મનીષા વકીલ સહિત ૧૧ ધારાસભ્યો તેમજ બે સાંસદનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પરામર્શ સમિતિઓના કાર્યક્ષેત્રમાં દરેક પરામર્શ સમિતિ હાલ તુરંત વર્તમાન પ્રધાનમંડળની મુદત સુધી કાર્ય કરશે. દર ત્રણ મહિને એકવાર અથવા પ્રધાન નકકી કરે તેમ વારંવાર મળતી સમિતિની બેઠકોમાં પ્રધાન પ્રમુખ તરીકેનું સ્થાન સંભાળશે અને સંબંધિત રાજયકક્ષાના પ્રધાન પણ બેઠકમાં હાજરી આપશે. પ્રધાન જે વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમાંની નીતિના અમલ, વ્યાપક મહત્વની બાબતોના પ્રશ્નો તેમજ નાગરિકોને લગતા પ્રશ્નો અંગે સમિતિ તેમની સાથે પરામર્શ કરશે. પ્રધાન પોતે સમિતિ સમક્ષ રજૂ કરે તેવી અથવા કોઇ સભ્ય સમિતિ સમક્ષ રજૂ કરવા પ્રધાનને વિનંતી કર્યાથી પ્રધાન રજૂ કરે તેવી બાબતો અંગે સમિતિ વિચારણા કરશે.
સમિતિ વ્યક્તિગત અધિકારીઓની અંગત, નોકરી અંગેની બાબતોને લગતા કોઇ પ્રશ્નો, હાલના નિયમો અને હુકમો અનુસાર સંબંધિત અધિકારીઓ જેનો નિકાલ કરી શકે તેવા વ્યક્તિગત કોઇ કેસ અથવા ન્યાયિક કાર્યવાહીમાં વિચારાધિન હોય તેવા અથવા જેને અંગે પક્ષકાર કોર્ટમાં અથવા તે અંગે નિર્ણય લઇ શકે તેવી સત્તા ધરાવતા બીજા પ્રાધિકારોને અરજી કરી શકે તેવી બાબતો વિચારણામાં લેશે નહિ. પરામર્શ સમિતિઓનું મુખ્ય મથક ગાંધીનગર રહેશે તેમ, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું હતું.



