“પાણી પહેલા પાળ” ગુજરાત સરકાર ચોમાસાની સંભવિત પરિસ્થિતિ માટે સંપૂર્ણ તૈયાર; પ્રિ-મોનસૂન તૈયારીઓની સમીક્ષા
'આપદા મિત્રો' અને NDRF-SDRF ટીમો તહેનાત

ગાંધીનગર: રાજ્યમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને (Monsoon Preparedness) પહોંચી વળવા માટે ગુજરાત સરકારનું (Gujarat Government) વહીવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જ બન્યું છે. મુખ્ય સચિવ પંકજ જોષીએ (Chief Secretary Pankaj Joshi) ગાંધીનગર ખાતે કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ તથા વિભાગોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી પ્રિ-મોનસૂન તૈયારીઓની સમીક્ષા બેઠકમાં (Pre-Monsoon Review Meeting) સંબંધિત વિભાગોને તાત્કાલિક રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર રાખી તેના અમલ પર ભાર મૂક્યો હતો.
વહીવટીતંત્ર અત્યારથી જ સંપૂર્ણ સજ્જ બને તે અનિવાર્ય
મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, વિવિધ વિભાગોએ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો અત્યારથી જ સુનિશ્ચિત કરવો જોઈએ, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં નાગરિકોને યોગ્ય સુવિધા પૂરી પાડી શકાય. રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી જ સંપૂર્ણ સજ્જ બને તે અનિવાર્ય છે.
મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યના તમામ વિભાગો, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી, સંભવિત આપત્તિના સામનો કરવા માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.

આ વર્ષે પણ ગુજરાત સારો વરસાદ થવાની સંભાવના
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે પણ ગુજરાત રીજીયનમાં 114% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 119% જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષ છોડીને એક વર્ષે નાના-મોટા વાવાઝોડા આવ્યા છે, જેમાં તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડામાં વિવિધ વિભાગોના યોગ્ય સંકલનથી જાનહાનિ ટાળી શકાયી હતી. આ વર્ષે પણ રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન દ્વારા કોઈપણ કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા માટે ગુજરાત સરકાર સજ્જ હોવાનો વિશ્વાસ મુખ્ય સચિવે વ્યક્ત કર્યો હતો.
ભૂતકાળમાં વધુ વરસાદ થયો તે સ્થળોની અત્યારથી જ સમીક્ષા
મુખ્ય સચિવે સૂચના આપી હતી કે, ભૂતકાળમાં જ્યાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની અત્યારથી જ સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્તારોમાં જૂના અને જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવીને તેને અત્યારથી જ ખાલી કરાવવા જોઈએ, જેથી જાનહાનિ ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળોએ મોકડ્રીલ યોજવા તેમજ સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા પણ તેમણે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.

‘આપદા મિત્રો’ને તાલીમ આપી સજ્જ કરાશે
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ ‘પ્રિ-મોનસૂન પ્રિપેર્ડનેસ’ બેઠકમાં તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા અને રાજ્ય વહીવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન જાળવવા પર ભાર મૂક્યો હતો. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ‘આપદા મિત્રો’ને તાલીમ આપી સજ્જ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની 15 તેમજ એસડીઆરએફની 11 ટીમો ઉપલબ્ધ રહેશે, જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.
ગુજરાતમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા
કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.