Gujarat માં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ લાભાર્થીઓને 237. 58 કરોડની સહાય ચૂકવાઈ…

ગાંધીનગર : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુંવરબાઈના મામેરાની યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારે છેલ્લા ચાર વર્ષમાં 2.07 લાખથી વધુ લાભાર્થીઓને 237 કરોડથી વધુની સહાઇ ચૂકવી છે. આ અંગે વિધાનસભામાં માહિતી આપતા સામાજિક અને ન્યાય અધિકારિતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં 1,09,166 ના લક્ષ્યાંક સામે કુલ 2,07,881 લાભાર્થીઓને 237.58 કરોડની સહાય ચૂકવવામાં આવી છે .
લાભાર્થી દીઠ રૂ. 12 હજારની સહાય
આ અંગે વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ 1995માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સહાયની રકમમાં વખતોવખત વધારો કરીને હાલ લાભાર્થી દીઠ રૂ. 12 હજારની સહાય આપવામાં આવે છે. આ જ પ્રકારે, સાત ફેરા યોજનામાં પણ રૂ. 12 હજારની સહાય ચૂકવવામાં આવે છે.
37.58 કરોડની સહાય ચૂકવવામાં આવી
છેલ્લાં ચાર વર્ષની વિગતો આપતાં રાજ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2020-21 માં 26,604 લાભાર્થીઓને રૂ. 26.60 કરોડ, વર્ષ 2021-22 માં 35,065 લાભાર્થીઓને રૂ. 37.69 કરોડ, વર્ષ 2022-23 માં 59,592 લાભાર્થીઓને રૂ. 69.68 કરોડ,
વર્ષ 2023-24 માં 86,620 લાભાર્થીઓને રૂ. 103.61 કરોડ એમ કુલ નિયત કરાયેલા 1,09,166 ના લક્ષ્યાંક સામે 2,07,881 લાભાર્થીઓને 237.58 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો આ છે સૌથી ભ્રષ્ટ વિભાગ, જાણો વિગત…
શું છે કુંવરબાઈનું મામેરું યોજના ?
ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું નામની સરકારી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અનુસુચિત જાતિઓના કુટુંબની પુખ્ત વયની એક કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા 12,000 ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે.